જામનગરની ઝોનલ કચેરીમાં E-KYC મુદ્દે હોબાળો, નગરસેવિકાની હાજરી બાદ જ કામ થયું – જુઓ Video
જામનગરની ઝોનલ કચેરીમાં રેશનકાર્ડ માટે જરૂરી E-KYC પ્રક્રિયા માટે વહેલી સવારથી અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. ફિંગરપ્રિન્ટ ન આવવાનું કારણ બતાવી અનેક લોકોને પરત મોકલાતા સ્થાનિકોએ સ્થળ પર જ હોબાળો કર્યો હતો.
જામનગરની ઝોનલ કચેરીમાં રેશનકાર્ડ માટે જરૂરી E-KYC પ્રક્રિયાને લઈને વહેલી સવારથી જ અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. ફિંગરપ્રિન્ટ ન આવવાનું કારણ બતાવી અનેક લોકોને પરત મોકલાતા સ્થાનિકોએ સ્થળ પર જ હોબાળો કર્યો હતો. E-KYC ન હોવાને કારણે લાભાર્થીઓ અનાજથી વંચિત રહી જાય છે. કર્મચારીઓ બેદરકારીપૂર્વક વર્તન કરે છે તેવું લોકોએ કહ્યું છે.
મામલો ઉગ્ર બનતા વોર્ડ નં 4ના નગરસેવિકા રચના નંદાણીયા ઝોનલ કચેરી ખાતે દોડી આવ્યા હતા. જણાવી દઈએ કે, ઝોનલ કચેરીના કર્મચારીઓએ ફિંગર પ્રિન્ટનું કોઈ કારણ બતાવી બે બાળકીઓને પરત મોકલી હતી.
જો કે, નગરસેવિકા રચના નંદાણીયાના આવ્યા બાદ તે બંને બાળકીઓનું EKYC તરત જ થઈ ગયું હતું. આ ઘટનાથી લોકોને લાગ્યું કે ઝોનલ કચેરીમાં ફિંગરપ્રિન્ટને લઈને કોઈ સમસ્યા નહોતી પરંતુ તંત્રની બેદરકારીને કારણે લોકોને મુશ્કેલી પડી હતી.
