સુરતમાં ગણેશોત્સવ દરમિયાન આસ્થાની અનોખી પરંપરા જોવા મળી છે. શહેરના રાંદેર વિસ્તારમાં તાપી નદીની વચ્ચોવચ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. માછીમાર સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપીના પ્રવાહ વચ્ચે વિઘ્નહર્તાની સ્થાપના કરવામાં આવી છે. નદીના મધ્યમાં બિરાજમાન શ્રીજી ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
માછીમાર સમાજ દ્વારા વર્ષ 2007થી તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. પાંચ પીપડા મહોલ્લામાં રહેતા માછીમાર સમાજ માટે તાપી નદી માત્ર રોજીરોટીનું સાધન નથી, પરંતુ તેમની આસ્થા અને જીવન સાથે પણ જોડાયેલી છે. આ જ કારણોસર દર વર્ષે નદીના મધ્યમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે.
માછીમાર સમાજની માન્યતા છે કે વિઘ્નહર્તાની સ્થાપના થકી સુરત શહેરને તાપી નદીના પૂરના સંકટથી રક્ષણ મળે છે. સુરતને પૂરથી બચાવવા માટે લેવાયેલી બાધા મુજબ દર વર્ષે તાપી નદીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત્ છે. તાપીના પ્રવાહ વચ્ચે શ્રીજીની સ્થાપના ભક્તો માટે શ્રદ્ધા અને આકર્ષણનું કેન્દ્ર બની છે.