સુરતમાં નાસીરનગર ડિમોલિશન વિવાદ વકર્યો: મનપા કમિશનરના બંગલા બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ
સુરતના નાસીરનગર વિસ્તારમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના કથિત "બોગસ" ડિમોલિશન મામલે રાજકારણ ગરમાયું છે. સુરત મહાનગરપાલિકા (SMC) ના સેન્ટ્રલ ઝોનના ઈજનેરે સત્તાવાર રીતે એવો દાવો કર્યો હતો કે મનપા દ્વારા કોઈ ડિમોલિશન કરાયું નથી, જેની સામે બાજુમાં બની રહેલા બિલ્ડરના મોટા પ્રોજેક્ટ માટે આ મકાનો તોડી પડાયા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરના બંગલા બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અસરગ્રસ્તોની અટકાયત કરી છે. નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના આ મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે.
આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ કર્યું કે SMC દ્વારા આવું કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું જ નથી. તંત્રની આ સ્પષ્ટતા બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બાજુમાં જ એક બિલ્ડરના મોટા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે આ મકાનો ગેરકાયદેસર રીતે જમીનદોસ્ત કરી દેવાયા છે.
દરમિયાન, ડિમોલિશનમાં વપરાયેલા જેસીબીના માલિકે ચોંકાવનારો દાવો કર્યો છે કે આ જેસીબી શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતે મંગાવ્યા હતા, જે સામાન્ય રીતે મનપા માટે જ કામ કરે છે. જો કે, જેસીબી ભાડે લેતી વખતે નાસીરનગર માટે કામ કરવાનું છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. મનપાના અસલી રોલ અને બિલ્ડરની મિલીભગત અંગે હાલ તપાસ તેજ કરવામાં આવી છે.
