સુરતમાં અરેઠના મુજલાવ થી વાવ્યા ખાડી નો રસ્તો બંધ કરાતા લોકો 15 થી 20 કિમી ફરવા મજબુર- Video
સુરતમાં ભારે વરસાદથી મુજલાવ-વાવ્યા ખાડી પરનો રસ્તો બંધ થતાં સ્થાનિકો 15-20 કિમીનો લાંબો ફેરો કરવા મજબૂર બન્યા છે. ખાડીમાં પાણીની ભારે આવકને કારણે આ નિર્ણય લેવાયો છે. શહેર અને જિલ્લામાં 4 થી 5 ઈંચ વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરાછાની ખાડી ભયજનક સપાટી પર છે. આનાથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં અરેઠના મુજલાવ વાવ્યા ખાડી પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ અરેઠના મુજલાવ-બોધન થી પસાર થતી ખાડીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. જેને લઈને રસ્તો બંધ કરી દેવાયો છે. ત્યારે મુખ્ય મથક સુધી પહોંચવા માંડવી, અરેઠ, બારડોલી તાલુકાના લોકોએ 15 થી 20 કિમીનો ફેરો કરવો પડશે. જેને લઈને સ્થાનિકો પરેશાન છે.
આ તરફ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 12 કલાકમાં સુરત શહેરમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેમા સૌથી વધુ પલસાણામાં 5.23 ઈંચ વરસાદ પડ્યો. આ તરફ સુરત શહેરમાં સિઝનનો કૂલ 39 ઈંચ વરસાદ પડ્યો. વરાછાની ખાડી અને કોઝવે ભયજનક સપાટી ઉપર છે. તંત્ર દ્વારા ખાડી અને નદીના જળસ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.
વરાછાની ખાડી ભયજનક સપાટી પર પહોંચી છે. કોઝવે પણ ભયજનક સપાટીમાં આવ્યો છે. બાકીની તમામ ખાડીઓ ભયજનક સપાટીથી નીચે છે. બારડોલી, પલસાણા અને કામરેજનું પાણી ખાડીઓમાં આવે છે, જેને લઈને પ્રશાસન દેખરેખ રાખી રહ્યુ છે.
સુરતમાં ફરી હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ગરનાળામાં કેડસમા પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગરનાળા આસપાસની સોસાયટીમાં પાણી ઘુસતા લોકોની ચિંતા વધી છે. સુરત મહાનગરપાલિકાના પ્રિમોન્સુન પ્લાન ફરી પૂરના પાણીમાં ધોવાઈ ગયો હોય તેવી સ્થિતિ છે.
Input Credit- Mehul Bhokalva, Baldev Suthar- Surat