રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા બાદ હવે ઠેર ઠેર બિસ્માર રસ્તા અને ખાડા(Potholes)ની સમસ્યા લોકો માટે પરેશાનીનું કારણ બની છે. ખાસ કરીને સાબરકાંઠા (Sabarkatha) જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે (National Highway) નર્ક કરતા પણ બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે. હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. હાઈવે પર ઠેર ઠેર ડાયવર્ઝન પણ ખરાબ સ્થિતિમાં છે. ખાડારાજમાં વાહનો અટવાતા અવારનવાર હાઈવે પર ટ્રાફિકજામ સર્જાય છે. જેને પગલે સ્થાનિકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે. સમગ્ર મામલે લોકો નેશનલ હાઈવે ઓથોરિટીને પણ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી કોઇ જ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
સ્થાનિકોની ફરિયાદ છે કે બિસ્માર રસ્તાઓને કારણે પારવાર મુશ્કેલી પડે છે. માટી પણ એટલી જ ઉડતી હોય છે તો બીજી તરફ ટ્રાફિકની પણ ભારે સમસ્યા રહે છે. વાહનચાલકોની ફરિયાદ છે કે જો સારો રોડ ન આપી શકતા હોય તો ટોલ ટેક્સ શા માટે વસુલવાામાં આવે છે. હાઈવે તો માત્ર નામ માત્રનો રહી ગયો છે. સ્થાનિકોની ફરિયાદ છે કે આ માત્ર આ ચોમાસાની ઋુતુની સમસ્યા નથી. છેલ્લા ત્રણ ચાર વર્ષથી તેઓ આ જ પ્રકારે હાલાકી વેઠી રહ્યા છે. હાઈવે પર જ્યાં જુઓ ત્યાં પાણી ભરેલા ખાબોચિયા અને ખાડા જ નજરે પડે છે ત્યારે હાઈવે ઓથોરિટી જાણે કુંભકર્ણની નીંદ્રામાં હોય તેવુ લાગે છે. લોકોની આટલી રજૂઆતો છતા સમસ્યા સામે કોઈ ધ્યાન નથી દેવાતુ કે ના તો રસ્તાઓની મરમ્મત કરવામાં આવે છે.
નેશનલ હાઈવે નંબર 8 બિસ્માર બનતા ધૂળિયો બની ગયો છે. રોડ જેવુ અહીં કંઈ નજરે જ નથી પડતુ. માત્ર ધૂળિયો રસ્તો અને ખાડાઓ જ દૂર દૂર સુધી દેખાય છે, ત્યારે વાહનચાલકો ક્યાં ખાડાને તારવે એ જ નક્કી થઈ શકે એમ નથી. સમગ્ર રોડ ખાડાગ્રસ્ત બન્યો છે. છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ રોડ પર ઠેર-ઠેર ડાઈવર્ઝન આપવામાં આવ્યા છે. જેને લઈને સ્થાનિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. અનેકવાર આ ખાડા જીવલેણ પણ સાબિત થયા છે. આ રસ્તા પર અનેક લોકો અક્સ્માતનો પણ ભોગ બન્યા છે.
ઈનપુટ ક્રેડિટ- અવનિશ ગોસ્વામી- સાબરકાંઠા
Published On - 9:31 pm, Sun, 21 August 22