રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા આજે કાગવડ સ્થિત ખોડલધામના દર્શને પહોંચ્યા હતા. અહીં તેમણે મા ખોડિયારના દર્શન કરી મીડિયા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યુ ખોડલધામમાં તેઓ પરિવાર તેમજ પક્ષના અન્ય નેતાઓ સાથે દર્શન માટે આવ્યા હતા.વધુમાં રૂપાલાએ જણાવ્યુ કે સમગ્ર જગતનું કલ્યાણ કરનારી મા સૌનુ ભલુ કરે. જો કે આ સમયે મીડિયા દ્વારા તેમને ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિવાદ બાબતે પૂછાતા તેમણે કંઈપણ કહેવાનુ ટાળ્યુ અને ધન્યવાદ કહી ત્યાંથી ચાલતી પકડી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યભરના રજપૂત અને ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાના નિવેદન સામે બાંયો ચડાવી છે અને વિવાદ એટલો વધ્યો છે કે રજપૂત સમાજ રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવાની માગ કરી રહ્યો છે. તેમની માગ છે કે જ્યા સુધી રૂપાલાને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે ભાજપે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યુ છે. આવતીકાલે શુક્રવારે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે. જેમા સૌરાષ્ટ્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર રહેશે. ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો પણ બેઠકમાં હાજર રહેશે. છેલ્લા 4,5 દિવસથી ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે જયરાજસિંહ જાડેજા મધ્યસ્થી કરશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:06 pm, Thu, 28 March 24