સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર, પાદરીઓ સામે કાર્યવાહી કરવા પર 1001 ડોલરના ઇનામની જાહેરાત
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા અંધશ્રદ્ધાના મુદ્દે વિવાદ ગરમાયો છે. વિજ્ઞાન જાથાના પડકાર સામે સુરત બજરંગ દળના પ્રમુખ જય પટેલે વળતો પ્રહાર કરીને અન્ય ધર્મોમાં ચાલતા ધર્માંતરણ અને અંધશ્રદ્ધા સામે અવાજ ઉઠાવવા ખુલ્લી ચેતવણી આપી છે.
રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાવા જઈ રહી છે. આ આગમન પહેલા જ અંધશ્રદ્ધા સામે લડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ તેમની દિવ્ય શક્તિઓ સામે સવાલ ઉઠાવી પડકાર ફેંક્યો હતો. આ મામલે હવે સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલ (નાગરાજ) મેદાનમાં આવ્યા છે અને તેમણે વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જય પટેલે જયંત પંડ્યાને ફોન પર આડે હાથ લીધા હતા.
બજરંગ દળના પ્રમુખે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પ્રાર્થના સભાઓમાં બીમાર લોકોને સાજા કરવાના ખોટા પ્રચારો કરીને મોટા પાયે ધર્માંતરણ કરાવવામાં આવે છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ પણ કેન્સર મટાડવાના દાવા થાય છે. જો વિજ્ઞાન જાથામાં તાકાત હોય તો તેઓ ત્યાં રૂબરૂ જાય. જય પટેલે જાહેરાત કરી છે કે જો વિજ્ઞાન જાથા પાદરીઓ અને પાસ્ટરો સામે જઈને આવી ચેલેન્જ આપશે, તો તેમની તરફથી વિજ્ઞાન જાથાને 1001 ડોલરનું ઇનામ આપવામાં આવશે. તેમણે અન્ય ધર્મોમાં ચાલતી અંધશ્રદ્ધા પર નજર કરવા માટે ખુલ્લી ચેતવણી આપી છે.