રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો, અધિકારીઓના 27 લાખના નાસ્તા બિલ સામે કોંગ્રેસે કાઢ્યો બળાપો- Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશનના રૂ. 27 લાખના નાસ્તા બિલનો મુદ્દો ગાજ્યો. કોંગ્રેસે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. કાજુકતરીના ઊંચા ભાવ અને અધિકારીઓની ઉડાવગીરી સામે કોંગ્રેસના કોર્પોરેટરોને બોલવા નહીં દેવાતા બળાપો કાઢતા જોવા મળ્યા હતા
રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન દરમિયાનના બિલનો મુદ્દો જનરલ બોર્ડમાં ઉછળ્યો. 27 લાખથી વધુના નાસ્તાના બિલ મામલે કોંગ્રેસે બળાપો કાઢ્યો. જંગલેશ્વરના કોર્પોરેટર રસીલા ગરૈયા અને દિપ્તી સોલંકીએ જણાવ્યુ કે બોર્ડ દરમિયાન અમારા પ્રશ્નોના જવાબ આપવાને બદલે અમને બહાર કાઢવાની સૂચના આપવામાં આવી. અમે અધિકારીઓએ ડિમોલિશન દરમિયાન ઉડાવેલી કાજુકતરીની જયાફતનો વિરોધ કર્યો એટલે અમને બહાર કાઢવાનો આદેશ કર્યો.
ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા કોંગ્રેસ કોર્પોરેટરોએ માગ કરી. કોંગ્રેસના કોર્પોરેટર્સને બોલવાનો સમય ન અપાતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો.
મહત્વનું છે કે આજે RMCના નવા ચૂંટાયેલા પદાધિકારીઓનું પ્રથમ બોર્ડ છે. જેમાં સમય મર્યાદા વગર ઓપન બોર્ડ હાથ ધરાયું હતું. ત્યારે કોર્પોરેટર્સે વિવિધ મુદ્દાઓ અંગે જનરલ બોર્ડમાં રજૂઆત કરતાં બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા. સાથે જ રાજકોટમાં પાણી વિતરણ અંગે પણ આક્ષેપ લાગ્યા છે.
સમગ્ર મામલે રાજકોટના મેયરનું કહેવું છે કે કમિશનરે એક મહિનામાં યોગ્ય પાણી વિતરણની ખાતરી આપી છે. સાથે જ અધિકારીઓના મસમોટા બિલના વિવાદ મામલે લોકોના હિતમાં કામગીરી કરવાનું નિવેદન આપીને બચાવ કર્યો છે.
જંગલેશ્વર ડિમોલેશન દરમિયાન પોલીસકર્મીઓ અને અધિકારીઓની ખાણીપીણીના ખર્ચનો વિવાદ હવે ગરમાયો છે. RMCના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસે કજુકતરીના બોક્સ સાથે વિરોધ કર્યો હતો. કાજુકતરી સહિત નાસ્તાની એક ડિશનો ભાવ ૨૩૧ રૂપિયા થયો હતો. જ્યારે જંગલેશ્વરમાં ત્રણ દિવસ સુધી ચાલેલા ડિમોલિશન દરમિયાન નાસ્તા અને જમવાનું બિલ 27 લાખ આપ્યુ છે. હાલ સ્ટેન્ડિંગ કમિટીએ આ બિલ અટકાવ્યુ છે. કોંગ્રેસના વિરોધ દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અને વિજિલન્સ વચ્ચે ઝપાઝપી થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટરો પાસેથી કાજુકતરી અને બેનરો વિજિલન્સે કબજે કર્યા હતા.
Input Credit- Mohit Bhatt- Rajkot
