Rajkot: રખડતા ઢોર મામલે રાજકોટ કોર્પોરેશનનો નિર્ણય, રાત્રિ દરમિયાન પણ ચાલુ રહેશે ઢોર પકડવાની કામગીરી
Rajkot: હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ રખડતા ઢોર મામલે તંત્રની આંખ ખૂલી છે અને રખડતા ઢોરને પકડવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ કોર્પોરેશને નિર્ણય કર્યો છે કે રાત્રિ દરમિયાન પણ ઢોર પકડવાની કામગીરી ચાલુ રહેશે.
રખડતા ઢોર મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢ્યા બાદ તમામ શહેરોમાં નગર નિગમ આ બાબતે ગંભીર બની છે. રાજકોટ (Rajkot) મહાનગર પાલિકાએ પણ રખડતા ઢોર મુદ્દે મહત્વનો નિર્ણય લીધો છે. રાજકોટ શહેરમાં રાત્રિ દરમિયાન પણ રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ રહેશે. જેના માટે ઢોર પકડવાની ટીમમાં મજૂરો અને વાહનોની સંખ્યાનો પણ વધારો કરવામાં આવશે. મહાનગર પાલિકાએ (Municiple Corporation) રખડતા ઢોર પકડવાની કામગીરી માટે અધિકારીઓને પણ જવાબદારી સોંપી છે. આ અધિકારીઓ ઢોર પકડવાની કામગીરીનું સુપરવાઈઝિંગ કરશે.
રાજકોટના જાહેરમાર્ગોને સંપૂર્ણપણે ઢોરમુક્ત કરવા RMCની તજવીજ
રાત્રિના સમયે ઢોર પકડવાની કામગીરી માટે ખાસ અધિકારીને આ અંગે કામગીરી સોંપવામાં આવશે. ઢોર પકડ પાર્ટીની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જેથી કરીને ઝડપથી અને સુમેળ રીતે શહેરભરના તમામ ઢોરને પકડીને રસ્તા પરથી દૂર કરવામાં આવશે. હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહિનાના 500 જેટલા રખડતા ઢોર છે તે પકડવામાં આવી રહ્યા છે, જો કે આ સંખ્યામાં વધારો થાય અને શહેરમાં જાહેરમાર્ગો પર એકપણ ઢોર ન દેખાય તે દિશામાં કોર્પોરેશન કામગીરી કરી રહ્યું છે. રખડતા ઢોરના આતંકને કારણે અનેક લોકો અકસ્માતને ભેટ્યા છે અને કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે હવે હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ તમામ શહેરોનુ તંત્ર સફાળુ જાગ્યુ છે અને ઢોર પકડવાની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. જો કે કામગીરીમાં ક્યાંકને ક્યાંક અસામાજિક તત્વો પણ આડખીલીરૂપ બની રહ્યા હોય તેવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ