સિદસર ઉમિયાધામમાં આયોજિત કડવા પાટીદાર સમાજના સામાજિક સંમેલનમાં પરશોત્તમ રૂપાલાએ સમાજને અનેક મુદ્દે ટકોર કરી. સમાજમાં કેટલાક એવા રિવાજો છે જે સમાજમાં અગાઉ ક્યાંય હતા જ નહીં અને તેની જરૂરિયાત પણ નથી પરંતુ દેખાદેખીમાં આવી ગયા છે. સમાજની લગ્ન વ્યવસ્થા સામે પરશોત્તમ રૂપાલાએ ટકોર કરી. રૂપાલાએ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પ્રિવેડીંગ પ્રથા સામે નારાજગી વ્યક્ત કરી કે પ્રિવેડીંગની જરૂરિયાત જ ન હતી. આ તો દેખાદેખીમાં આવ્યુ છે. દેખાદેખીમાં શરૂ થયેલી વસ્તુઓ બંધ પણ નથી નથી.
કોરોનાકાળને યાદ કરતા રૂપાલાએ ટકોર કરી કે એ સમયે કેમ લોકો એક ગાડીમાં પણ પરણી જતા હતા. અત્યારે જેટલા રૂપિયામાં લગ્નનો એલ્બમ બને છે એટલા રૂપિયામાં તો લગ્ન થઈ જતા હતા. જુના રીત રિવાજો ક્યાં જતા રહ્યા. સમાજ જો ચેતશે નહીં તો પ્રાણીઓ જેવી હાલત થશે.
સમાજના પ્રાણ પ્રશ્ન ગણાતા દીકરીઓ મળતી નથી જેવા મુદ્દે પણ રૂપાલાએ ખુલીને તેમની આગવી શૈલીમાં ચર્ચા કરી. તેમણે ટકોર કરી હતી કે આજકલ માતાપિતા દીકરીઓને ગામડામાં કે સંયુક્ત કુટુંબમાં પણ દેવા નથી માગતા. જે ખૂબ જ અયોગ્ય છે.
રૂપાલાએ કહ્યુ આજકાલ શોપિંગ જેવા મુદ્દાઓ પર ડિવોર્સ થઈ જાય છે. જ્યારે પહેલાના જમાનામાં કુટુંબના વડીલો જ ખરીદી કરતા હતા. આ તકે રૂપાલાએ બહેનોને પણ વિનંતી કરી અને કહ્યુ કે મારી બહેનોને વિનંતિ છે કે જરૂરિયાત પુરતી જ શોપિંગ કરો. આવી શોપિંગની પ્રથા આપણે ત્યાં હતી જ નહીં.
Published On - 3:22 pm, Sun, 22 March 26