Rajkot: લમ્પી વાયરસનો કહેર, રાજકોટમાં બે પશુઓના મોત થયા હોવાની તંત્રની જાહેરાત, રસીકરણ માટે તંત્રની દોડધામ
66 ગામના 569 પશુઓમાં લમ્પી વાયરસના (Lumpy Virus) લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં 28 હજારથી વધારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા 49 ટીમો બનાવીને સરવે, સારવાર અને રસિકરણની કામગીરી ચાલુ છે.
રાજકોટ જિલ્લામાં (Rajkot Latest News) અત્યાર સુધીમાં લમ્પી વાયરસના (Lumpy Virus) કારણે બે પશુઓનાં મોત થયા છે. તંત્રએ તેની સત્તાવાર જાહેરાત કરી છે. જિલ્લાના 11 તાલુકાના 66 ગામોમાં લમ્પી વાયરસ પ્રસર્યો છે. 66 ગામના 569 પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં 28 હજારથી વધારે પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા 49 ટીમો બનાવીને સરવે, સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ છે. તાલુકા દીઠ અને શહેરમાં 2 ઈમર્જન્સી સેવાની ટીમ કાર્યરત છે.
રાજકોટ જિલ્લા સહીત સૌરાષ્ટ્રના અનેક જીલ્લાઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છ જીલ્લો સૌથી વધારે પ્રભાવિત છે. ત્યારે તંત્ર દ્વારા પણ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમજ રખડતી ગાયોની સારવાર વ્યવસ્થિત થઈ શકે તે માટે ભૂજમાં શેલ્ટર બનાવવામાં આવ્યુ છે. સાથે જ માંડવી, ગાંધીધામ જેવા વિસ્તારોમાં શેલ્ટર બનાવવાની કામગીરી શરૂ કરી દેવાય છે.
લમ્પી વાયરસના ફેલાવાને જોતા પશુધનને બચાવવા માટે ઘણી સામાજીક સંસ્થા તેમજ જીવદયા પ્રેમીઓ પણ મેદાને આવ્યા છે. તેઓ પણ પશુઓને બચાવવા માટે તેમજ સારવાર માટે પોતાની સેવા આપી રહ્યા છે. તેમજ સરકાર પણ પુરતા પશુ ડોક્ટરો તેમજ રસીની ફાળવણી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
પશુપાલકોએ સરકાર પાસે સહાયની કરી માગ
રાજ્યભરમાં જે પશુપાલકો ગાયનું દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા એ ગાય પર હવે લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. પશુપાલકોની સ્થિતિ એવી છે કે આંખો સામે જ ગાય મરી રહી છે જેની સામે પશુપાલકો પણ લાચાર બન્યા છે, ત્યારે સૌથી વધુ ગાયોના મોત થતા દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. બનાસકાંઠાના પશુપાલકોએ જણાવ્યું કે સરકાર વહેલી તકે રાહત આપે.