રાજકોટ પહોંચતા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી ચેલેન્જ, કહ્યુ તાકાત હોય તો ગજવા-એ-હિન્દની વાતો કરનારાઓ પર પણ ટિપ્પણી કરો
વિજ્ઞાન જાથા અને રેશનાલિસ્ટોના પડકાર વચ્ચે બાગેશ્વરધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનું રાજકોટમાં આગમન થયુ છે. બાબા બાગેશ્વરથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં ત્રણ દિવસના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે. જે 7મી જૂન સુધી ચાલશે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાત આજથી એટલે કે 5 જૂનથી 7 જૂન સુધી બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર અને હનુમંત કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત બાબા બાગેશ્વર રાજકોટ આવી પહોંચ્યા છે. રાજકોટમાં પગ મુક્તાની સાથે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તેમના દરબારનો વિરોધ કરનારા વિજ્ઞાન જાથા અને રેશનાલિસ્ટોને પડકાર ફેંક્યો છે.
બાબાએ જણાવ્યુ છે કે તાકાત હોય તો ગજવા-એ-હિન્દની વાતો કરનારાઓ પર પણ ટિપ્પણી કરી બતાવો જેઓ દેશમાં લવ જેહાદ ફેલાવવા માગે છે અને ગજવા એ હિંદ બનાવવા માગે છે. બાબાએ કહ્યુ અમે હિંદુ રાષ્ટ્ર બનાવવા અને ધર્માન્તર રોકવાનું કામ કરીએ છીએ એટલે અમારા પર ટિપ્પણી કરી રહ્યા છો. તો બાબાએ કહ્યુ અમારા પર ટિપ્પણી કરનારાઓના પણ આભારી છીએ અને તેમને થેન્ક્યુ કહેશુ.
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમ રોજ સાંજે 7 થી 11 કલાક સુધી યોજાશે. આ દિવ્ય દરબારને લઈને સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ અગાઉ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનું રાજકોટમાં આયોજન થયુ છે.
હવે ત્રણ વર્ષના અંતરાલ બાદ ફરી એક વખત રાજકોટમાં કથા યોજી રહ્યા છે. થોડા સમય અગાઉ જ્યારે બાબાના રાજકોટ આગમનના સમાચાર સામે આવ્યા હતા તે સમયે રાજકોટના સામાજિક અગ્રણી પરસોતમ પીપળીયાએ ફેસબુક પર એક પોસ્ટ મૂકી હતી જેના કારણે વિવાદ છેડાયો હતો. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભમેળો યોજાશે. આ પોસ્ટ બાદ બીજા અન્ય રેશનાલિસ્ટો પણ સામે આવ્યા હતા.
Input Credit- Mohit Bhatt- Rajkot
