હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 168 તાલુકામાં મેઘ મહેર થઇ છે. 100 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 55 તાલુકામાં 1 ઇંચથી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
8 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ગણદેવી, ખેરગામ, અને નવસારીમાં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી અને વલસાડના પારડીમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.