સરકાર પીવાના પાણી માટે નલ સે જલ યોજનાની વાતો તો કરી રહી છે, પંરતુ પંચમહાલ જિલ્લામાં વાસ્તવિકતા કંઇ અલગ જ જોવા મળી રહી છે. પંચમહાલ જિલ્લાના કેટલાય ગામોમાં પીવાના પાણીની તંગી સર્જાઇ છે ત્યારે ગ્રામજનો પીવાના પાણીની માગ કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના કેટલાય ગામોમાં અત્યારથી જ પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. સરકારી ચોપડે આવા ગામોમાં પાણીની કોઈ સમસ્યા જ નથી, આવા ગામમાં પાણી દરેક ઘર સુધી પહોંચાડવામાં આવે છે, એ પ્રકારના દાવા સરકારી ચોપડે કરવામાં આવે છે પરતું વાસ્તવિકતા કંઇ અલગ જ દર્શાવે છે.
ગામમાં નલસે જલ યોજનાની કામગીરી કરવા માટે આવેલી એજન્સીએ ગામની પાણી સમિતિને વિશ્વાસમાં લઈને કામ ઓછું કરી વધુ પૈસા લઇ ગઇ હોવાના સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ગામમાં પાણીની 2 વર્ષ પહેલા નાખવામાં આવેલી પાઇપ લાઇન હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાને લીધે તૂટી ગઇ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.
એજન્સી અને તંત્રના મીલી ભગતથી નલસે જલ યોજનાના પાણીનો સ્ત્રોત નક્કી ન કરાયો અને ગામમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે, ત્યારે ગામમાં 50 ટકા ઘરોમાં પાણીની લાઇનો પણ નાખવામાં નથી આવી. જેના લીધે પાણીથી વંચિત રહે છે, ત્યારે સરપંચ દ્વારા માગ કરવામાં આવી છે કે ગામમાં વહેલી તકે પાણીની વ્યવસ્થા કરવામાં આવે.
જ્યારે પાણીની મુશ્કેલીનો તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે તેમને ગામમાં પાણીની કોઇ સમસ્યા ન હોવાનું જણાવ્યું, પરતું ગ્રામજનો પાણીની સમસ્યાનું જલદીથી નિરાકરણ આવે તે માટે તંત્ર સમક્ષ રજૂઆત કરતા જોવા મળ્યા.