બનાસકાંઠા: ગરીબ બાળકોના શિક્ષણ પર ખતરો, વર્ષો જૂની શાળા બંધ કરવાનો આદેશ…
ચાણક્યપુરી પ્રાથમિક શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને પરત સોંપવાના નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. કલેક્ટરને રજૂઆત કરી આંદોલનની ચીમકી અપાઈ છે.
બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં એક સરકારી પ્રાથમિક શાળાને બંધ કરવાનો આદેશ છૂટતા જ ભારે હડકંપ મચી ગયો છે. હનુમાન ટેકરી વિસ્તારમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત ‘ચાણક્યપુરી પ્રાથમિક શાળા’ની જગ્યા તેના મૂળ માલિક એટલે કે મહેસાણાના એક ખાનગી ટ્રસ્ટને પરત સોંપી દેવાનો વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. ઉનાળુ વેકેશન બાદ શાળા શરૂ થતા જ આ આદેશ આવતા ધોરણ 1 થી 5 માં ભણતા આશરે 60 જેટલા ગરીબ વિદ્યાર્થીઓના ભાવી પર ખતરો ઊભો થયો છે.
આ નિર્ણયના વિરોધમાં સ્થાનિક વાલીઓ અને રહીશો મેદાને ઉતર્યા છે. તેમણે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરીને શાળા રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે ટ્રસ્ટે શરતોનું પાલન કર્યું નથી, જેથી જમીન સરકાર હસ્તક થવી જોઈએ. જો માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
બીજી તરફ, શિક્ષણ વિભાગનું કહેવું છે કે ટ્રસ્ટની રજૂઆત બાદ આ જગ્યા પરત કરાઈ રહી છે. આ બાળકોને નજીકની અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે અને તેમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ અપાશે. હાલમાં વિવાદના સુખદ સમાધાન માટે બંને પક્ષો વચ્ચે એક બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે.