રાજ્યમાં 48 કલાકની સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક તાલુકાઓમાં મેઘરાજા મનમુકીને વહાલ વરસાવી રહ્યા છે. આજના દિવસે રાજ્યના 47 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 6 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ ગીરસોમનાથમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. જુનાગઢના માંગરોળમાં 3 અને માળિયાહીટીનામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે.
જુનાગઢની વાત કરીએ તો અહીં મેઘરાજાએ જમાવટ કરી છે. જુનાગઢના માંગરોળમાં મેઘરાજા મન મુકીને વરસ્યા. હવામાન વિભાગના આંકડા મુજબ માંગરોળમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. જે બાદ અનેક નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થયા છે. આ તરફ ટાવરચોક, બસસ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા. જ્યારે માળીયા હાટીનામાં પણ 2 ઇંચ વરસાદ વરસ્યો છે. અસહ્ય ગરમી વચ્ચે મેઘમહેર થતા નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો.
ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ ગીરસોમનાથમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે. વેરાવળ, સુત્રાપાડામાં પણ વરસાદના અહેવાલ છે. વેરાવળમાં ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. સટ્ટાબજાર, સુભાષ રોડ, લોહાણા હોસ્પિટલ રોડ પણ પાણીમાં ગરકાવ થયો. મેઘરાજા જાણે કે મહાદેવ પર જળાભિષેક કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા અને તપેશ્વર મહાદેવ મંદિરમાં પાણી ઘુસ્યા. લાંબા વિરામબાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો