Bhavnagar : ગરીબોની કસ્તુરીએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા, ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતો પાયમાલ

| Edited By: | Updated on: Feb 20, 2023 | 1:38 PM

આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડૂંગળીનુ ઉત્પાદન મબલખ થયુ છે, પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થયા છે.

સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ સૌથી વધુ ઉત્પાદન થાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનુ ઉત્પાદન મબલખ થયુ છે, પરંતુ ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલ થયા છે. હાલ ડુંગળી વેચવા માર્કટિંગ યાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી છે. આપને જણાવી દઈએ કે, ભાવનગર શહેરના બંને માર્કેટિંગ યાર્ડમાં અંદાજીત 3.5 લાખથી વધુ ગુણીની આવક નોંધાઈ છે.

માર્કેટિંગ યાર્ડમાં 3.5 લાખથી વધુ ગુણીની આવક

મહત્વનું છે કે ડુંગળીના એક ગુણીની માર્કટ યાર્ડમાં કિંમત માત્ર 35 રૂપિયા આસપાસ છે, એટલે કે એક મણ ડુંગળીના ખેડૂતોને માત્ર 50-60 રૂપિયા જ મળી રહ્યા છે, જેને પગલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનુ કહેવુ છે કે આટલી કિંમતમાં ડુંગળીના ઉત્યાદનનો ખર્ચ પણ ઉભો થઈ રહ્યો નથી, એટલે કે હાલ ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે.

મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળીની મબલખ આવક

તો આ તરફ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભારે આવક થઇ રહી છે. ત્યારે અચાનક જ ડુંગળીના ભાવમાં ઘટાડો નોંધાતા ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે. ડુંગળીના ભાવમાં એક જ રાતમાં ઘટાડો નોંધાયો હોવાનો ખેડૂતો જણાવી રહ્યા છે. અચાનક જ ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતો રોષે ભરાયા છે. ડુંગળીના ઘટતા ભાવ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓને જવાબદાર માની રહ્યા છે. હાલ તો ઘટતા ભાવથી પરેશાન ખેડૂતો ડુંગળીનો વધુ ભાવ આપવા માગ કરી રહ્યા છે.

Published on: Feb 20, 2023 01:00 PM