રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક પછી એક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે અમદાવાદના જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી કરવામાં આવી છે. પારંપરિક વિધિ અને મંત્રોચ્ચાર અનુષ્ઠાન કરીને ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની આંખો પર પટ્ટા બાંધવામાં આવ્યા છે.
કેરી અને જાંબુ ખાવાને કારણે ભગવાનને આંખો આવે છે તેવી માન્યતા છે. મામાના ઘેરથી પરત ફરેલી ભગવાનની મૂર્તિઓનું રત્નવેદી પર સ્થાપન કરવામાં આવે છે. તેમજ નિજ મંદિરમાં મૂર્તિઓના સ્થાપના બાદ ધ્વજારોહણ કરવામાં આવે છે. રથયાત્રાનું આમંત્રણ આપવા ગણેશજીના સ્વરુપમાં ગજરાજનું પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે મંદિરમાં ભવ્ય ભંડારનું પણ આયોજન કરવામાં આવે છે.