શાળાઓમાં મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળાઓએ નોંધાવ્યો વિરોધ
કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અંતર્ગત ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. જોકે શાળા સંચાલક મહામંડળે ટ્રસ્ટ સંચાલિત શાળાઓને આ નિયમમાંથી મુક્તિ આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે.
નવી શિક્ષણ નીતિના અમલ હેઠળ કેન્દ્ર સરકારે નગરપાલિકા, મહાનગરપાલિકા તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટી (SMC)ની રચના ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય હેતુ શાળાના સંચાલનમાં વાલીઓની ભાગીદારી વધારવાનો અને શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાનો છે.
પરંતુ આ નિર્ણય સામે શાળા સંચાલક મહામંડળે વિરોધ નોંધાવ્યો છે. મહામંડળનું કહેવું છે કે ગ્રાન્ટેડ શાળાઓ પહેલેથી જ ટ્રસ્ટ દ્વારા સંચાલિત થાય છે અને તેમાં ટ્રસ્ટીઓ તથા નિયુક્ત સભ્યો વહીવટી કામગીરી સંભાળે છે. આવી સ્થિતિમાં અલગથી સ્કૂલ મેનેજમેન્ટ કમિટી બનાવવાથી એક જ શાળામાં બે સંચાલન વ્યવસ્થાઓ ઉભી થશે, જેના કારણે વહીવટી ગૂંચવણ સર્જાઈ શકે છે.
શાળા સંચાલક મહામંડળે કેન્દ્ર સરકારને રજૂઆત કરીને ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટેડ શાળાઓને આ નિયમમાંથી મુક્તિ આપવાની માંગ કરી છે. હવે સરકાર આ રજૂઆત પર શું નિર્ણય લે છે તેના પર રાજ્યની અનેક ગ્રાન્ટેડ શાળાઓની નજર ટકેલી છે.