Navsari Breaking News: પૂરમાં બચાવ કામગીરી કેવી રીતે થશે? નવસારી ફાયર વિભાગ પાસે માત્ર 15 કાયમી જવાનો અને જૂના સાધનો!
નવસારી મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ થયું છતાં ફાયર વિભાગમાં કાયમી સ્ટાફ અને આધુનિક સાધનોની અછતને કારણે જાહેર સુરક્ષા રામભરોસે છે.
કોઈપણ ઈમરજન્સીમાં સૌથી પહેલા યાદ આવતી ‘101 ફાયર બ્રિગેડ’ સેવા નવસારીમાં જ જાતે લાચાર દેખાઈ રહી છે. નવસારી મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ વીતી ગયું હોવા છતાં, સાડા 3 લાખથી વધુની વસ્તી સામે ફાયર વિભાગમાં સાધનો અને માનવબળની ભારે અછત વર્તાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, હાલ વિભાગ પાસે માત્ર 6 ફાયર બ્રાઉઝર, 2 રેસ્ક્યુ વાહનો અને 2 એમ્બ્યુલન્સ છે, જેમાંથી પણ કેટલાય વાહનો બંધ હાલતમાં છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સમગ્ર જિલ્લા અને મનપા વિસ્તારની સુરક્ષા માટે કાયમી ફાયર જવાનોની સંખ્યા માત્ર 15 જ છે. બાકીની તમામ જવાબદારી રોજમદાર કર્મચારીઓ પર નિર્ભર છે.
ચોમાસામાં જ્યારે પૂરની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે રેસ્ક્યુ અને સ્થળાંતરની કામગીરી માટે ફાયર વિભાગની ભૂમિકા અત્યંત મહત્વની બની જાય છે. એવામાં આટલી ઓછી સુવિધા સાથે મોટી આપત્તિનો સામનો કેવી રીતે થશે તે એક મોટો પ્રશ્ન છે. તંત્ર દ્વારા જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક યોગ્ય પગલાં લેવાય અને ફાયર વિભાગને સક્ષમ બનાવવામાં આવે તે સમયની માંગ છે.