હવામાન વિભાગ (IMD) દ્વારા ઉતર ગુજરાતમાં ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. જે અનુસાર મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. અરવલ્લી (Aravalli) જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ નદી નાળા છલકાયા છે. મોડાસા, શામળાજી અને ભિલોડા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. તો બીજી તરફ ભિલોડા પંથકમાં ભારે વરસાદથી સુનસર ધોધ જીવંત બન્યો છે. જો કે ધોધ જોખમી બનતા પ્રવાસીઓને (Tourists) ત્યાં ન જવા સૂચના આપવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ બાદ ઇસરોલથી રાજલી તરફ જવાના રસ્તા પરના કોઝ વે પર વરસાદી (Rain) પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. રાજલી, માધુપુર, લક્ષમણપુરા, રાજલી કંપા, દઘાલીયા સહિતના 8 ગામના લોકો અવરજવર માટે મુશ્કેલીમાં મુકાયા છે. અવિરત વરસાદને કારણે નદી-નાળાઓ પણ છલકાયા છે, ત્યારે નીચાણવાળા ગામોને (Village) સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
અરવલ્લીના ભિલોડા પંથકમાં ભારે વરસાદ બાદ સુનસર ધોધ જીવંત બન્યો છે. જો કે ધોધ જીવંત બનવાની સાથે જ જોખમી પણ બન્યો છે. સુનસર ગામના સરપંચે પ્રવાસીઓને ધોધ પર ન જવા સૂચના આપી છે. સુનસર ધોધમાં પાણીનો પ્રવાહ હળવો ન બને ત્યાં સુધી સહેલાણીઓ માટે બંધ કરી દેવાયો છે. દર વર્ષે સુનસર ધોધ જીવંત બનતા જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો વધી જાય છે. જો કે હાલમાં સુનસર ધોધનું આક્રમક રુપ હોવાના પગલે કોઇ દુર્ઘટના ના સર્જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જેથી ધોધ પાસે પ્રવાસીઓ ન આવે તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
તો બીજી તરફ અરવલ્લીના મોડાસાના (Modasa) ટીંટોઈ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.ડુંગર પરથી પાણીનો ધસમસતો પ્રવાહ ગામના રસ્તા પર ફરી વળતા અવરજવર બંધ કરવામાં આવી છે.મહત્વનું છે કે,પાણીનો તેજ પ્રવાહ હોવાથી જૈન મંદિર તરફ અવરજવર બંધ કરવાની ફરજ પડી છે.ધસમસતો પાણીનો પ્રવાહ જોવા જૈન મંદિર પાસે ગ્રામજનો ઉમટી પડયા છે.