વડોદરા જિલ્લામાં આવેલા યાત્રાધામ ચાણોદમાં નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. જેના પગલે ચાણોદ ઘાટના 5 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ડભોઈના ગામોને હાઈએલર્ટ કરાયા છે. ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરીયા જેવા ગામોને એલર્ટ કરાયા છે. સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા માટેની સૂચના અપાઈ છે.
વહીવટી તંત્રએ નર્મદા નદીના તટમાં ન જવા લોકોને અપીલ કરી છે.વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
બીજી તરફ ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.