મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન, પંપો પર લાગી લાંબી કતારો

| Edited By: | Updated on: May 14, 2026 | 3:07 PM

આ અંગે પેટ્રોલપંપ ઓનર્સ એસોસિએશનનું કહેવું છે કે, કેટલાક પંપ ઉપર પુરવઠો ખૂટી જતા ગણતરીના કલાકો માટે આઉટ ઓફ સ્ટોકની સ્થિતિ હોઈ શકે છે. કારણ કે, ઓઈલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી હોવાથી, જયા સુધી પુરેપુરુ પેમેન્ટ ના ચૂકવાય ત્યાં સૂધી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓઈલ કંપની દ્વારા પુરો પાડવામા ના આવ્યો હોય તેમ બની શકે છે.

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની કોઈ જ અછત ના હોવાનું સરકાર અને પેટ્રોલપંપ ડિલર્સ એસોસિએશન જણાવી રહ્યાં છે. આમ છતા, મહીસાગર જિલ્લામાં મોટા ભાગના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખૂટી જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા પેટ્રોલ પંપ પર “નો સ્ટોક”ના પાટીયા લગાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

મહિસાગર જિલ્લાના સામે આવી રહેલા અહેવાલ અનુસાર, ઘણાબધા પેટ્રોલપંપ પૈકી માત્ર એકાદ- બે પેટ્રોલ પંપ પર જ ઈંધણ ઉપલબ્ધ હોવાથી ત્યાં વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ હતી. પેટ્રોલ પુરાવવા માટે વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડતા, લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે કેટલાક સ્થળોએ પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા પેટ્રોલ-ડીઝલ પુરાવવા આવેલ વાહનચાલકો અને ખેડૂતોની ભીડને કાબુમાં રાખવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બીજી તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારમાં પણ ડીઝલની અછત સર્જાતા પરિસ્થિતિ ગંભીર બની છે. હાંસોટ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર, ખેતીના વપરાશ માટે ડીઝલ ભરાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. ખાસ કરીને ટ્રક ચાલકો, ટેમ્પો અને કૃષિ સંબંધિત વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અચાનક સર્જાયેલી અછતને કારણે રોજિંદા પરિવહન અને વ્યવસાય પર અસર પડી રહી છે. જો સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આ અંગે પેટ્રોલપંપ ઓનર્સ એસોસિએશનનું કહેવું છે કે, કેટલાક પંપ ઉપર પુરવઠો ખૂટી જતા ગણતરીના કલાકો માટે આઉટ ઓફ સ્ટોકની સ્થિતિ હોઈ શકે છે. કારણ કે, ઓઈલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી હોવાથી, જયા સુધી પુરેપુરુ પેમેન્ટ ના ચૂકવાય ત્યાં સૂધી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓઈલ કંપની દ્વારા પુરો પાડવામા ના આવ્યો હોય તેમ બની શકે છે. બાકી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં કોઈ અછત ના હોવાનું કહેવું છે.

Breaking News : ઈંધણની ગંભીર કટોકટીના સંકેત ? કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે

Published on: May 14, 2026 02:57 PM
Follow Us