ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ નેતાઓ અને કાર્યકરો પણ બીજા પક્ષની નજીક જઈ રહ્યા હોય તેવુ લાગી રહ્યું છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.
તો આ પહેલા રાજકોટના જસદણમાં અમિત શાહ પ્રચાર અર્થ ગયા હતા, તે દરમિયાન કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. અમિત શાહની હાજરીમાં કોંગ્રેસ-આપના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. એક તરફ પક્ષપલટાની મોસમ અને બીજી બાજુ મેન્ડેટ રદ્દ કરવાની અરજીના કારણે હાલ આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ 182 ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. આણંદ જિલ્લામાંથી વકીલ હાર્દિક પટેલ અને કેયૂર જોશીએ આ અરજી કરી છે. તેમણે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે આમ આદમી પાર્ટીના તમામ મેન્ડેટ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અપાયા છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પક્ષ નથી.