સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પોરબંદરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. ભારે વરસાદ થતા રાહત રસોડું શરુ કરવામાં આવ્યુ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 550 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. સ્થળાંતર કરેલા લોકો માટે સવાર સાંજનું રસોડું શરુ કરવામાં આવ્યુ છે. રેડક્રોસ સોસાયટી તાલુકા શાખા અને પાયોનિયર કલબ દ્વારા ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. 2 હજાર લોકોને ગરમાગરમ ભોજન મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેના પગલે ભદ્રકાળી ચોકની 100 જેટલી દુકાનો અને 30 હોટલોમાં વરસાદની પાણી ભરાયા છે. તો આ તરફ બેટ દ્વારકામાં VIP પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ હતી. રાવળા તળાવના વિકાસ બાદ દર વર્ષે પાણી ભરાતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. ભદ્રકાળી ચોક, રબારી ગેટ, તિનબત્તી ચોકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર – ઠેર પાણીથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.