અમદાવાદ : વ્યાજખોરો બેફામ, વ્યાજે લીધેલા 32 લાખ સામે 1 કરોડ 92 લાખ ચુકવ્યા છતા માગતા હતા વધારાના 60 લાખ, યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ

|

Feb 19, 2024 | 3:36 PM

અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. જેમા બોપલના એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા વ્યાજખોરોનો ભાંડો ફુટ્યો છે. યુવકે 32 લાખ વ્યાજે લીધા હતા, જેની સામે 1 લાખ 92 હજાર ચુકવ્યા બાદ પણ વ્યાજખોરો 60 લાખ માગતા હતા. મામલો પ્રકાશમાં આવતા પોલીસે એક વ્યાજખોરની ધરપકડ કરી છે.

અમદાવાદ પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. બોપલમાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકની ફરિયાદ બાદ એક વ્યાજખોરની ધરપકડ છે. સાણંદના દેવ પટેલે કેફે ચાલુ કરવા માટે અલગ અલગ લોકો પાસેથી 10 લાખ વ્યાજે લીધા હતા. જેમાં 10 લાખ સામે 18 લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીની રકમ ચૂકવવા રૂપિયા 32 લાખ વ્યાજે લીધા હતા. જેના 1 કરોડ 92 લાખ ચૂકવ્યા બાદ પણ હજુ વ્યાજખોરોએ રૂપિયા 60 લાખની માંગ કરી હતી.

વ્યાજખોરોના ત્રાસને કારણે યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરવા જઈ રહ્યો હતો. તે દરમિયાન પિતાએ આત્મહત્યા કરતા રોક્યો. અને બોપલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં બોપલ પોલીસ મથકે મુખ્ય વ્યાજખોર ધવલ પંડિત સહિત કુલ 6 લોકો વિરુધ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસે મુખ્ય વ્યાજખોર ધવલ પંડિતની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

tv9 સાથેની વાતચીતમાં યુવકના પિતાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. યુવકના પિતા પરાગ પટેલે આક્ષેપ કર્યો કે, આ વ્યાજખોરો અને સટ્ટાખોરોની સિન્ડિકેટ છે. જેમણે અનેક યુવકો અને પરિવારોને બરબાદ કર્યા હતા. વ્યાજખોરોએ મારા દીકરાને પોકર ગેમના સટ્ટાના રવાડે ચઢાવી રકમ પડાવી લીધી હતી.

ધવલ પંડિત અને ટોળકી સામે વધુ આક્ષેપ કરતા કહ્યું કે આ વ્યાજખોરોએ 200 જેટલા પરિવારોને સટ્ટાના રવાડે ચઢાવ્યા છે. સટ્ટાના રવાડે ચઢેલ યુવકને દેવાદાર બનાવી વ્યાજે રૂપિયા લેવા મજબૂર કરે છે. જે બાદ બળજબરી પૂર્વક વ્યાજની રકમની ઉઘરાણી કરવા ધાકધમકી આપે છે.

Published On - 10:28 pm, Sun, 18 February 24

Next Video