મહેસાણામાં વસ્તી ગણતરીની કામગીરી મુદ્દે શિક્ષકોનો મોરચો : સિનિયરોને ગણતરીદાર અને જુનિયરોને સુપરવાઈઝર બનાવતા રોષ
મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘે વસ્તી ગણતરી અને સર્વેની કામગીરીમાં જોવા મળતી વિસંગતતાઓ સામે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે. ઉંચો પગાર ધરાવતા સિનિયર શિક્ષકોને નીચલી કક્ષાની કામગીરી સોંપાતા અને કાળઝાળ ગરમીમાં વેકેશન દરમિયાન સર્વે કરવાનું જણાવતા શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
મહેસાણા જિલ્લામાં વસ્તી ગણતરી અને અભ્યાસ છોડી ગયેલા બાળકોના સર્વેની કામગીરીને લઈને વિવાદ ઉભો થયો છે. મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શિક્ષકોનો આરોપ છે કે વહીવટી તંત્ર દ્વારા કામની વહેંચણીમાં અનેક વિસંગતતાઓ રાખવામાં આવી છે.
સિનિયર શિક્ષકોનું અપમાન?
શિક્ષક સંઘના જણાવ્યા અનુસાર, ઉંચો ગ્રેડ પે અને બહોળો અનુભવ ધરાવતા સિનિયર શિક્ષકો તેમજ આચાર્યોને ‘ગણતરીદાર’ તરીકેની સામાન્ય કામગીરી સોંપાઈ છે. તેની સામે નવા જોડાયેલા શિક્ષકો અને નાના કર્મચારીઓને ‘સુપરવાઈઝર’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ પદાનુક્રમ ઉલટો હોવાથી શિક્ષકોમાં માનસિક રોષ જોવા મળી રહ્યો છે. વધુમાં, જે શિક્ષકો નિવૃત્તિના આરે છે તેમને પણ આ ઉંમરે ફિલ્ડ વર્ક સોંપાતા મુક્તિ આપવાની માંગ ઉઠી છે.
ગરમી અને વેકેશનનો પડકાર
હાલમાં જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ધોરણ 9 અને 10 છોડી ગયેલા વિદ્યાર્થીઓને ઘરે-ઘરે જઈને શોધવાનું કામ અત્યંત કપરું છે. શિક્ષકોએ રજૂઆત કરી છે કે ઉનાળુ વેકેશનના ભોગે આ કામગીરી કરાવવાને બદલે જૂન મહિનામાં જ્યારે શાળાઓ પુનઃ શરૂ થાય, ત્યારે શાળાના સમય સિવાય આ કામગીરી સોંપવામાં આવે. શિક્ષકોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રાષ્ટ્રીય કામગીરી કરવા તૈયાર છે, પરંતુ તંત્રએ માનવીય અભિગમ અપનાવીને ઉચિત આયોજન કરવું જોઈએ.