નવસારી બેઠકે ગત ચૂંટણીમાં ઇતિહાસ રચ્યો હતો. નવસારીની બેઠક ગુજરાત જ નહીં પરંતુ દેશમાં સૌથી વધુ લીડ સાથે જીતનારી બેઠક બની ગઇ હતી, હવે આ વખતે સી આર પાટીલે ગુજરાતની તમામ બેઠક પર પાંચ લાખની લીડથી જીતવાનું મિશન ઉપાડ્યું છે.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ કંઈક નવું કરવા માટે જાણીતા રાજકારણી બની ચૂક્યા છે. કોંગ્રેસમાંથી કાર્યકરો, હોદ્દેદારો અને ધારાસભ્યોને વીણી વીણીને ભારતીય જનતા પાર્ટીમાં સંમિલિત કરી દીધા છે. નવસારી લોકસભામાં ત્રીજી વખત ઉમેદવાર સી આર પટેલ ગુજરાતની તમામ બેઠકો જીતવા માટે મેદાને પડ્યા છે. નવસારી બેઠક પર સી આર પાટીલને જીતાડવા ભાજપના નાના કાર્યકરોથી માંડીને ધારાસભ્યોને સંગઠનના હોદ્દેદારો કામે લાગ્યા છે.
નવસારી લોકસભા બેઠકમાં સુરતની ચાર વિધાનસભા બેઠકો મજૂરા, ઉધના, લિંબાયત અને ચોર્યાસી, જ્યારે નવસારીની જલાલપોર અને નવસારી અને ગણદેવી બેઠકનો સમાવેશ થાય છે. સી.આર.પાટીલ ગુજરાત જીતવા માટે ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે ત્યારે પોતાના મતવિસ્તારમાં ઓછો સમય આપી શકે તેવી શક્યતાઓ છે. જેના પગલે કાર્યકર્તાઓ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોની મેદાનમાં ઉતારી દીધા છે અને એમાં પણ સૂત્ર આપ્યું છે ” મેં ભી સી.આર.પાટીલ”
નવસારી લોકસભા ક્ષેત્રમાં આવતી સાતેય વિધાનસભા બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે અને તમામ ધારાસભ્યો જંગી બહુમતીથી જીત્યા છે. એટલે ચૂંટણીમાં ભાજપની સ્થિતિ ખુબ જ મજબૂત છે. તમામ સમીકરણ હાલ તો ભાજપના જ પક્ષમાં છે, ત્યારે હવે આપને જણાવીશું કે સી આર પાટીલને જંગી બહુમતીથી જીતાડવાનો ભાજપનો એક્શન પ્લાન શું છે.
નવસારીમાં સાત વિધાનસભા બેઠક છે, ત્યારે ભાજપનો વ્યૂહ છે કે તમામ વિધાનસભામાં એક એક લાખની લીડ મળે. તેની તૈયારીઓમાં ધારાસભ્ય વ્યસ્ત પણ બન્યા છે. ગત લોકસભા ચૂંટણીમાં સી આર પાટીલે 6,89,688 વોટથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં 21 લાખથી વધુ મતદારો નવસારી લોકસભામાં છે. નવસારીમાં 22 રાજ્યના લોકો મતદાર હોવાથી નવસારી બેઠકને મિનિ ભારત કહેવામાં આવે છે. અહીં સુરતના 60 અને નવસારીના 40 ટકા મતદારોનો સમાવેશ થાય છે. કોળી મતદારોની સંખ્યા અહીં વધુ છે. જે બાદ મહારાષ્ટ્રીયન મતદારો છે. આ બેઠક જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી જ ભાજપનો દબદબો રહ્યો છે.
2019માં ભાજપે નવસારીની બેઠક પર ઇતિહાસ રચ્યો હતો. 6.89 લાખ મતોની લીડ સાથે ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં સી.આર.પાટીલે ડંકો વગાડ્યો હતો, ત્યારે આ વખતે પણ ભાજપ પોતાની લીડને ટકાવી રાખવા માટે તૈયાર છે. ભલે પોતે સી.આર.પાટીલ નવસારીમાં પ્રચાર ના કરી રહ્યા હોય, પરંતુ ભાજપના નેતાઓ હાલ નવસારીના મિશનમાં લાગ્યા છે.
Published On - 12:01 pm, Tue, 26 March 24