સાબરડેરીની ચૂંટણીને લઈ લોકસભાની ચૂંટણી પહેલા જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચૂંટણીનો ગરમાવો વ્યાપ્યો છે. જેની પર નજર સમગ્ર ગુજરાતના સહકારી રાજકારણની ઠરેલી છે. કારણ કે અમૂલ એટલે કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ચેરમેન શામળ પટેલનું ભવિષ્ય આ ચૂંટણીમાં નક્કી થવાનું છે. ફેડરેશનના ચેરમેન પદે રહેવા માટે સ્થાનિક સંઘના ચેરમેન પદે હોવુ જરુરી છે.
તો બીજી તરફ હવે ચૂંટણી પાછી ઠેલાય એ માટે કેટલાક આગેવાનોએ માંગણી કરતો વાંધો રજૂ કરતા હવે શામળ પટેલના ભવિષ્ય સામે સવાલ ખડો કર્યો હોય એવી સ્થિતિ વર્તાઈ છે.
સાબરડેરીની સામાન્ય ચૂંટણી ટૂંક સમયમાંજ જાહેર થાય એવી શક્યતાઓ છે. ચૂંટણી માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. જેના ભાગરુપે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમ હવે એકાદ બે દિવસમાં જ ચૂંટણી અંગેનું ચિત્ર સ્પષ્ટ બીન શકે છે. મંગળવારે એટલે કે છઠ્ઠી જાન્યુઆરીએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધા રજૂ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ચૂંટણી અધિકારી સમક્ષ 108 જેટલા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે.
ચૂંટણી અધિકારી સમક્ષ બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ચૂંટણી પાછી ઠેલવાની રજૂઆત કરી છે. તેઓએ કહ્યુ છે કે, ચૂંટણીને લોકસભાની ચૂંટણીની બાદમાં યોજવામાં આવે. આ માટે તેઓએ બંને ચૂંટણીઓ સાથે થવાથી માહોલની અસર સર્જાવાની સંભાવનાઓ વ્યક્ત કરતું તર્ક રજૂ કર્યુ છે. તો આ સિવાય પણ સાબરકાંઠાના કેટલાક સહકારી નેતાઓ આ તર્કનો લાભ ઉઠાવી ચૂંટણી મોકૂફ કરવાના સૂરમાં સૂર પુરાવી મોકાનો ફાયદો ઉઠાવવા લાગ્યા છે.
શામળ પટેલ માટે સામાન્ય ચૂંટણી તેના નિયત સમય મર્યાદામાં યોજાય તે જ સૌથી યોગ્ય છે. ચૂંટણી મોડી યોજાય અને નિયામક મંડળના બદલે વહીવટદાર નિમવામાં આવે તો સાબરડેરીનું ચેરમેન પદ તેમના હાથમાંથી જતુ રહે. આમ તેઓ ફેડરેશનના ચેરમેન પદેથી પણ હટવાનું જોખમ સર્જાઈ શકે છે.
જેને લઈ હવે તેઓ સામાન્ય ચૂંટણી તેના યોગ્ય શેડ્યૂલ મુજબ જ યોજાય એમ ઈચ્છી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ્યભરના સહકારી આગેવાનોની નજર હવે સાબરડેરીની ચૂંટણી પર ઠરી છે. કારણ કે ફેડરેશનની ચૂંટણીમાં શું થશે એ સવાલનો જવાબ ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યા છે.
કેટલાક આગેવાનો ચૂંટણી મોકૂફ રહે અને મોડી યોજાય તો પ્રદેશ સંગઠન સહિતના કેટલાક મોટા ફેરફાર આગામી જૂલાઈ થી ડિસેમ્બર મહિનામાં આવે તેનો લાભ મળવાનું માની રહ્યા છે. જેના કારણે મેન્ડેટ મેળવવાથી લઈને અનેક સરળતાઓ સર્જાઈ શકે. જેને લઈ કેટલાક સહકારી આગેવાનો બેંકની ચૂંટણીમાં મેન્ડેટનો માહોલ અનુભવી ચૂક્યા છે. જેને લઈ હવે મોડી ચૂંટણી યોજાય તો આ વાતની મોટી સરળતા સર્જાઈ શકે એમ તર્ક લગાવી રહ્યા છે.
આ માટે છેલ્લા કેટલાક સમયથી કેટલાક આગેવાનો ચૂંટણીને મોડી યોજવા માટેની રજૂઆતો કરી રહ્યા છે. તો ચૂંટણી તેના નિયત સમયે યોજાશે કે કેમ એ પશુપાલકોમાં પણ મોટો સવાલ થઈ રહ્યો છે. જોકે આ સપ્તાહના અંત સુધીમાં ચિત્ર સ્પષ્ટ બની શકે છે.