જૂનાગઢના (Junagadh) માંગરોળના ચંદવાણા ગામમાં તંત્રની લાપરવાહીના કારણે ખેડૂતોનો (Farmer) પાક પાણીમાં ગરકાવ થયો છે. ચંદવાણા ગામથી દરસાલીના નવનિર્મિત રસ્તામાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેતરોમાં પાણી (Water Logging) ભરાવાની સમસ્યા સર્જાઈ છે. અહીં ચાર ફૂટ રસ્તો ઉંચો બનાવવામાં આવ્યો છે, પરંતુ પાણીના નિકાલ માટે પાઈપલાઈન નાખવામાં ન આવતા 100 વીઘા જમીનમાં પાણી ભરાયા છે.
જૂનાગઢમાં છેલ્લા 15 દિવસથી ખેડૂતોના મગફળી, સોયાબીન, કેળના પાક પાણીમાં ગરકાવ થયા છે. પીડબ્લ્યૂડી (PWD) અધિકારી અને મામલતદારને ખેડૂતોએ લેખિત રજૂઆત કરી છે. છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવે તેવી ખેડૂતોએ તંત્ર પાસે માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કૂવામાં પાણી ન હોવાથી ચંદવાણા ગામના ખેડૂતો વર્ષમાં એક જ વાર પાક લેતા હોય છે. તેમાં પણ તંત્રની બેદરકારીના કારણે હાલ ખેડૂતોનો મહામુલો પાક પાણીમાં ગરકાવ થયો છે. આ તરફ સરપંચે પણ પાણીના નિકાલની તંત્ર પાસે માગ કરી હતી. જો પાણીનો નિકાલ ટૂંક સમયમાં નહીં થાય તો મગફળીનો પાક નષ્ટ થશે તેવું સરપંચનું કહેવું છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી સહિત વિવિધ જિલ્લાઓમાં પણ મગફળીના પાકમાં જીવાતને કારણે નુકસાન થયું છે.