ગીરનાર જતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારનો મોટો નિર્ણય, ગીરનારના ત્રણેય માર્ગો પર 25 પ્રશિક્ષિત ટ્રેકર્સ કરાશે તૈનાત
જુનાગઢમાં ગીરનાર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રવાસીઓ માટે ગીરનાર યાત્રાને વધુ સુવ્યવસ્થિત, સુચારુ અને સુરક્ષિત બનાવવા માટે ગીરનારના ત્રણેય માર્ગ પર 25 પ્રશિક્ષિત ટ્રેકર્સ ને તૈનાત કરવામાં આવશે.
જુનાગઢમાં ગીરનારમાં છેલ્લા કેટલાક દિવસોમા પ્રવાસી માર્ગ પર સિંહોના આંટાફેરા અને એક બાળક પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. જે બાદ ગીરનાર પર આવતા યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હવેથી ગીરનારના ત્રણેય યાત્રા માર્ગ પર 25 પ્રશિક્ષિત ટ્રેકર્સ તૈનાત રહેશે. જેનાથી યાત્રાળુઓની યાત્રા વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે. ગીરનારના ત્રણેય યાત્રા માર્ગ નવી સીડી, જૂની સીડી અને દાતાર સીડી પર આજથી જ ટ્રેકર્સ તૈનાત કરી દેવાયા છે જેઓ હવે રાઉન્ડ ધ ક્લોક અલગ અલગ શિફ્ટ મુજબ ફરજ બજાવશે.
ગીરનાર પર તૈનાત કરવામાં આવેલા આ 25 ટ્રેકર્સને વિશેષ તાલીમ આપી પ્રશિક્ષિત કરવામાં આવ્યા છે. જેઓ વન્યજીવોની હિલચાલ અને સંભવિત જોખમોને ઓળખી જઈ પરિસ્થિતિનો તાગ લઈ શકે તે અંગેની તાલીમ આપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ટ્રેકર્સ સતત વોચ રાખશે.
સિંહોના આંટાફેરા કે અન્ય વન્ય જીવોના સંભવિત જોખમને માટે આગોતરુ આકલન કરશે. વન્યજીવ સંરક્ષણ સાથે યાત્રાળુઓની સુરક્ષા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. ગીરનારની યાત્રાને ભયમુક્ત બનાવવાની દિશામાં લેવાયેલો આ નિર્ણય ઘણો મહત્વપૂર્ણ સાબિત થશે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
CM પદ છોડવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દિલ્હી પહોંચ્યા, PM મોદી સાથે કરી મુલાકાત