ભારત અને યુકે વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ઊંઝાથી મસાલા ભરેલુ પ્રથમ કન્ટેનર રવાના, ખેડૂતો અને વેપારીઓ માટે ખુલ્યા વૈશ્વિક બજારના નવા દ્વાર
ભારત અને યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે ભારત-યુકે CETA હેઠળ આજે ઊંઝાથી પ્રથમ નિકાસ કન્ટેનરને રવાના કરવામાં આવ્યું છે. ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલી એશિયન સ્પાઇસીસ કંપની ખાતેથી સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સંગીતા વિશ્વનાથનની ઉપસ્થિતિમાં આ કન્ટેનરને લીલી ઝંડી બતાવી યુકે માટે રવાના કરાયું હતું. આ પ્રસંગે ઊંઝા APMCના ચેરમેન દિનેશ […]
ભારત અને યુકે વચ્ચે થયેલા ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે ભારત-યુકે CETA હેઠળ આજે ઊંઝાથી પ્રથમ નિકાસ કન્ટેનરને રવાના કરવામાં આવ્યું છે. ઊંઝા-મહેસાણા હાઇવે પર આવેલી એશિયન સ્પાઇસીસ કંપની ખાતેથી સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સંગીતા વિશ્વનાથનની ઉપસ્થિતિમાં આ કન્ટેનરને લીલી ઝંડી બતાવી યુકે માટે રવાના કરાયું હતું. આ પ્રસંગે ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલ અને સ્પાઇસીસ બોર્ડના સભ્યો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક ઘટનાથી ભારતના મસાલા ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી ઓળખ અને મોટું બજાર મળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની અર્થવ્યવસ્થા સતત મજબૂત બની રહી છે. ભૌગોલિક-રાજકીય તણાવ હોવા છતાં ભારતીય નિકાસકારો માટે હવે વૈશ્વિક બજારોના દ્વાર ખુલી રહ્યા છે. ભારત અને યુકે વચ્ચેના મુક્ત વ્યાપાર કરારના અમલીકરણ સાથે જ ભારતીય મસાલાની સુવાસ હવે સમગ્ર વિશ્વમાં, ખાસ કરીને યુકે અને યુરોપના બજારોમાં ફેલાશે. સ્પાઇસીસ બોર્ડ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, આ કરારથી માત્ર સ્વાદ જ નહીં પરંતુ દેશના મસાલા ઉદ્યોગના અર્થતંત્રને પણ મોટો વેગ મળશે અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વિસ્તારવામાં મોટી સહાય મળશે.
એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે જાણીતા ઊંઝા માટે આ એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અમલ સાથે જ ઊંઝાની એશિયન સ્પાઇસીસ ફેક્ટરીમાંથી જીરું, વરિયાળી, ધાણા અને મેથી જેવા ભારતીય મસાલાઓથી ભરેલું કન્ટેનર યુકે જવા રવાના થયું છે. ઊંઝા એપીએમસી અને સ્પાઇસીસ બોર્ડના સભ્યોના મતે, યુકેના કડક ગુણવત્તાના નિયમોનું પાલન કરીને સીધા ખેડૂતો પાસેથી ગુણવત્તાયુક્ત માલ ખરીદવામાં આવ્યો છે. આ નવી વ્યાપાર નીતિથી ભારત અને યુકેના વ્યાપારી સંબંધો વધુ ગાઢ બનશે અને આગામી સમયમાં મસાલાની નિકાસ બમણી થવાની આશા છે, જેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને આંતરરાષ્ટ્રીય સ્તરના સારા ભાવો તરીકે મળશે.
સમગ્ર વિગતો પર નજર કરીએ તો, ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર ભારતીય મસાલા બજાર માટે એક નવયુગની શરૂઆત સમાન છે. ઊંઝાથી શરૂ થયેલી આ નિકાસ આગામી દિવસોમાં દેશના અન્ય ભાગોના વેપારીઓ અને ખેડૂતો માટે સમૃદ્ધિના નવા માર્ગો પ્રશસ્ત કરશે. આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબની ઉચ્ચ ગુણવત્તાના કારણે વૈશ્વિક બજારમાં ભારતીય મસાલાની માંગ, કિંમત અને વિશ્વસનીયતામાં અભૂતપૂર્વ વધારો જોવા મળશે જે ભારતીય નિકાસ ક્ષેત્રે માઈલસ્ટોન સાબિત થશે.