ડૉક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. એ ફરી એકવાર સુરતમાં સાર્થક સાબિત થયું છે. ઘટના છે સુરતના અમરોલીની કે જ્યાં એક બાળકને ધનુરનો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી. ત્યારે આ દરમ્યાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલના ડૉકટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી છે.
અમરોલી વિસ્તારમાં ઝુપડું બાંધીને રહેતા પરીવારના 13 વર્ષના કિશોરને પગના ભાગે લોખંડનો સળીયો વાગતા અચાનક જ કિશોરનું આખું શરીર જકડાઈ ગયું હતું. જેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. જ્યાં હોસ્પિટલના તબીબોએ ઈમરજન્સી વોર્ડમાં કિશોરની 50 દિવસની લાંબી સારવાર બાદ બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. જેથી પરિવારજનોએ તબીબોનું સન્માન કરી તબીબોની અથાગ મહેનતનો આભાર માન્યો હતો.