વડોદરા શહેરમાં આજે તિરંગા યાત્રા યોજાઈ હતી. ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંધવીએ તિરંગા યાત્રાને સંબોધતા કહ્યું કે, આ તિરંગા યાત્રા, દેશ માટે શહિદ થનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, સૈન્ય જવાનો, પોલીસ કર્મચારીઓને સન્માન આપવા માટે યોજાઈ છે. ભલે આપણે સરહદ પર જઈને લડી ના શકીએ, પોલીસની ફરજ બજાવી ના શકીએ પણ તેમના કાર્યોને જરૂરથી તિરંગો લહેરાવીને બિરદાવી શકીએ.
આવતીકાલે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર તિરંગા યાત્રાનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે, અમદાવાદની તિરંગા યાત્રા એટલી વિશાળ હશે તે યાત્રાના તમામ રેકોર્ડ તુટી જશે.
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ, સૌને અપીલ કરતા કહ્યું કે, આજે ફેશન સ્ટેટસ બની ચૂકેલા ડ્રગ્સના દુષણને આપણે સૌએ નાથવાનું છે. ગુજરાત પોલીસે છેલ્લા 10 જ દિવસમાં રૂપિયા 850 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. વડોદરાના નગરજનોને અપીલ કરી હતી કે, તમારી જાણમાં જો કોઈ ડ્રગ્સના દુષણમાં સપડાયેલો જણાય તો છુપાવવાને બદલે પોલીસને માહિતી આપો. ટીમ ગુજરાત ટીમ ઈન્ડિયા તરીકે આપણે દેશનો રાજ્યનો વિકાસ કરવાનો છે.