રાજકોટમાં રખડતા શ્વાનના આતંકનો દર્દનાક કિસ્સો સામે આવ્યો છે. રસ્તે રખડતા શ્વાનના આતંકે વધુ એક મહિલાનો જીવ લીધો છે. શહેરના કોઠારિયા રોડ પર નયના ગોંડલિયા નામની મહિલા તેમના પતિ સાથે બાઇક પર જઇ રહી હતી. આ દરમિયાન રખડતા શ્વાને મહિલાની સાડીનો છેડો ખેંચતા તેઓ નીચે પટકાયા હતા. શ્વાનના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમ્યાન મહિલાનું કરુણ મોત નિપજ્યું છે.
શ્વાનના આતંકના કારણે વધુ એક મહિલાનું મોત થયુ છે. મહિલાના મોતને કારણે પરિવારજનોમાં માતમ છવાયો છે. મૃતકના પરિવારજનોએ શહેરમાં રખડતા શ્વાનની સમસ્યાનો તંત્ર તાત્કાલિક ઉકેલ લાવે તેવી માગ કરી છે.
જાહેર રસ્તા પર રખડતા પશુઓના આતંકને કારણે અનેક લોકો તેમના જીવ ગુમાવી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નથી આવતો. રાજ્યમાં છેલ્લા બે દિવસમાં રખડતા શ્વાનના હુમલાને કારણે બે લોકોના મોત નિપજ્યા છે. જેમણે તંત્રની કામગીરી સામે ફરી એક વખત ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રાજકોટમાં રખડતા શ્વાને બાઇક પર જઇ રહેલા દંપતિ પર હુમલો કરતા પાછળ બેસેલા મહિલા નીચે પટકાતાં તેનું મોત નિપજ્યું છે. તો બુધવારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં રખડતા શ્વાનના ઝૂંડ મજૂરી કામ કરતા પરિવારના 6 વર્ષના માસૂમ બાળક પર હુમલો કરતા બાળકનું કરુણ મોત થયું હતુ. 5 થી 6 જેટલા શ્વાનોનું ઝૂંડ બાળક પર તૂટી પડ્યું અને તેના શરીરના વિવિધ ભાગો પર બચકાં ભર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડી દીધો હતો