ખેડા જિલ્લાના મહેમદાવાદના કરોલી ગામ નજીક મહી કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી છે. હર્ષદપુરા પાસે રાત્રે 3 થી 4 વાગ્યાની આસપાસ મસમોટુ ગાબડું પડ્યું હતુ. જેથી આસપાસની અંદાજિત 20 વિઘા જમીનમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાઈ જતા પાકને મોટાપાયે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. ઘઉં, બાજરી અને તમાકુના પાકમાં નુકસાનની ભીતિ છે. ખેતરમાં તૈયાર થયેલ ઘઉંનો પાક પલળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠાના વાવના પાનસેડા નજીક માઈનોર કેનાલમાં ગાબડું પડવાની ઘટના સામે આવી હતી. જોરડિયાલી-તખતપુરા માઇનોર કેનાલમા પડ્યુ 10 ફૂટથી વધુનું ગાબડું પડ્યું હતું. આ કેનાલની આસપાસના ખેતરોમાં રાયડો. એરંડો તથા જીરું જેવા પાકનું વાવેતર કરવામાં આવેલું હતું. કેનાલમાં ગાબડું પડવાથી વિવિધ પાકમાં પાણી ફરી વળ્યું હતુ. તેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતુ. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો કે આ રીતે કેનાલમાં ગાબડાં પડતાં ખેડૂતોએ અથાગ મહેનત કરીને પકવેલા મહામૂલા પાકને નુકસાન પહોંચે છે. રવિ સીઝનમાં અત્યાર સુધી વાવ અને થરાદ પથકમાં 7થી વધુ ગાબડાં પડ્યાં હતા.