હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદ બાદ આજથી રાજ્યભરમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જોકે, રાજ્ય પર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કુલ 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદના છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે. સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અને નાગરિકોને હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
અરબી સમુદ્ર અને આસપાસના વિસ્તારમાં સક્રિય રહેલું વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતાં તેની અસર ધીમે ધીમે નબળી પડી રહી છે. જેના કારણે રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા ઘટી છે, પરંતુ અન્ય સક્રિય સિસ્ટમોના કારણે વરસાદી માહોલ હજુ પણ જળવાઈ રહેશે.
દરિયામાં તેજ પવન અને ઊંચા મોજાં ઊછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો- 03 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યમાં મેઘ મહેરથી જળાશયોમાં ભરપૂર પાણીની આવક, 206માંથી 34 ડેમ હાઇએલર્ટ પર