હવામાનને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14થી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં બદલાવ આવી શકે છે. આ સમય દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલની શરૂઆતથી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. આ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે. તેમના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરણમાં નોંધપાત્ર પલટો આવી શકે છે.
અંબાલાલ પટેલના અનુમાન મુજબ 14થી 18 માર્ચ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળો છવાઈ શકે છે, જેના કારણે ગરમી વચ્ચે થોડો રાહતનો અહેસાસ થઈ શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 16 માર્ચથી એપ્રિલ મહિનાની શરૂઆત સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા પણ નકારી શકાય નહીં. ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ માર્ચના મધ્યભાગથી એપ્રિલ મહિના સુધી રાજ્યમાં કમોસમી વાતાવરણ સર્જાઈ શકે છે. આ સ્થિતિની મુખ્ય અસર કચ્છ, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળી શકે છે. તેથી ખેડૂતો અને સામાન્ય લોકોને બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે.