મક્કા શહેરમાં ઉમરાહની યાત્રાએ ગયેલા અમદાવાદ સહિત ગુજરાતના ઘણા પરિવારો હાલ ત્યાં ફસાયા છે. યુદ્ધના કારણે સર્જાયેલી અરાજકતા અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે યાત્રિકો એરપોર્ટ અને હોટેલોમાં અટવાઈ પડ્યા છે.
મક્કામાં ફસાયેલા અમદાવાદીઓએ TV9 સાથેની ખાસ વાતચીતમાં પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, યુદ્ધની શરૂઆત થતાની સાથે જ એરપોર્ટ પર ભારે અફરાતફરીનો માહોલ છે. ઘણી ફ્લાઈટ્સ રદ થતા ગુજરાતી પરિવારો એરપોર્ટ પર અટવાયા છે. યાત્રીઓએ જણાવ્યું કે, “અત્યારે બહાર નીકળતા પણ ડર લાગી રહ્યો છે, સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે.”
ફસાયેલા યાત્રિકોએ વધુમાં જણાવ્યું કે, અચાનક ઉભી થયેલી આ પરિસ્થિતિને કારણે ત્યાંની હોટેલોના ભાડામાં પણ તોતિંગ વધારો ઝીંકાયો છે. બીજું કે, હાલ આ તમામ 55 લોકો મક્કા પાસેની એક હોટેલમાં રોકાયા છે, જ્યાં હોટેલના ભાડા અત્યંત મોંઘા હોવાથી તેમની પાસે રૂપિયા પણ ખતમ થઈ રહ્યા છે.
ગુજરાતી પરિવારોએ સુરક્ષિત રીતે વતન પરત ફરવા માટે ભારત સરકાર, વિદેશ મંત્રાલય અને સ્થાનિક ધારાસભ્યોને તાત્કાલિક રજૂઆત કરી છે. ફસાયેલા લોકોની માગ છે કે, ભારત સરકાર વહેલી તકે કોઈ કામગીરી શરૂ કરે અને સ્પેશિયલ ફ્લાઈટ અથવા બીજા માધ્યમથી તેમને સુરક્ષિત રીતે દેશમાં પરત લાવવાની વ્યવસ્થા કરે.
Input Credit- Narendra Rathod- Ahmedabad
Published On - 4:20 pm, Sun, 1 March 26