64 કિલો સોનું ગાયબ! મહુડી જૈન તીર્થધામમાં કરોડોના સોનાની ઉચાપતના આક્ષેપથી ખળભળાટ, ટ્રસ્ટીઓ અને સભ્યો વચ્ચે જામ્યો જંગ

| Edited By: | Updated on: Feb 14, 2026 | 10:25 PM

ગાંધીનગરના મહુડી મંદિર ટ્રસ્ટમાં સત્તા અને સંપત્તિને લઈને વિવાદ વકર્યો છે. કરોડોની કિંમતના સોનાની ઉચાપત અને ગેરકાયદે મિલકતોના આક્ષેપો કરાયા છે.

ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી ખાતે ટ્રસ્ટના વહીવટને લઈને ગંભીર વિવાદ સપાટી પર આવ્યો છે. ટ્રસ્ટના સભ્ય અંકિત મહેતાએ વર્તમાન ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે, મંદિરમાં 65 કિલો સોનાની સામે માત્ર 1 કિલો સોનાના વરખનો જ ઉપયોગ થયો છે અને બાકીના કરોડોના સોનાની ઉચાપત કરવામાં આવી છે. તેમણે વધુમાં આરોપ લગાવ્યો હતો કે ખોટા દસ્તાવેજો રજૂ કરી ટ્રસ્ટી તરીકે નામ નોંધાવ્યા છે અને સંસ્થાના નાણાંથી અંગત મિલકતો ઊભી કરી છે.

આ ગંભીર આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે, અંકિત મહેતા પોતે ટ્રસ્ટના સભ્ય પણ નથી અને તેમનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે, “જો સોનાની એક કણીની પણ ઉચાપત સાબિત થાય તો હું જાહેર જીવનમાંથી રાજીનામું આપી દઈશ.” વોરાએ વધુમાં ઉમેર્યું કે ટ્રસ્ટનો તમામ વ્યવહાર ઓડિટ હેઠળ છે અને ચેરિટી કમિશનરની કચેરીમાં તમામ વિગતો રજિસ્ટર્ડ છે.

ભૂપેન્દ્ર વોરાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “જેની સુખડી બહાર લઈ જવાતી નથી, તેનું સોનું બહાર લઈ જનાર કેવી રીતે બચે?”

તેમણે ઉમેર્યું કે સોનાની ખરીદી અને વપરાશ સંબંધિત તમામ બિલ અને દસ્તાવેજો ઉપલબ્ધ છે. “જો સોનાની કણીની પણ ઉચાપત સાબિત થાય તો હું તરત રાજીનામું આપવા તૈયાર છું,”

આ વિવાદ હવે વ્યક્તિગત આક્ષેપબાજી સુધી પહોંચી ગયો છે, જેમાં અંકિત મહેતાએ સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે, જ્યારે ટ્રસ્ટના સત્તાવાર સભ્યોએ તેને તીર્થધામને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું છે. પવિત્ર યાત્રાધામમાં ઉભી થયેલી આ અરાજકતાને પગલે જૈન સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વડોદરામાં મહાશિવરાત્રીનો ભવ્ય ઉત્સવ: ‘શિવજી કી સવારી’માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી: જુઓ Video