ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી કરવામાં આવી રહ્યો છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવી નાઇનની ઈલેક્શનવાળી બસ પાટણના હારીજ પહોંચી છે ત્યારે ચૂંટણીનો ચોરો આજે પાટણના હારીજમાં જામ્યો છે. જ્યારે ચૂંટણીનો ચોરો કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે ભાજપ નેતા માનસિંહ ચૌધરી , કોંગ્રેસના નેતા ગોવિંદભાઇ પટેલ તથા રાજકીય વિશ્લેષક રાકેશ ગોસાઇ જોડાયા હતા.
આ ડિબેટમાં હિસ્સો લેતા કોંગ્રેસ નેતા ગોવિંદભાઇ પટેલએ જણાવ્યું હતું કે પાટણની ચાણસ્મા બેઠક પર કોંગ્રેસ અનેક મુદ્દાઓ સાથે લડી રહી છે. જેમાં પાણી, રોડ અને કેનાલના પ્રશ્નો પણ વ્યાપક છે. તેમજ કોંગ્રેસ ખેડૂતો અને કેનાલના પ્રશ્નોને લઇને પ્રજા સમક્ષ જશે.
જ્યારે આ ડિબેટમાં ભાજપ નેતા માનસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાજપ જનસંઘ વખતથી આ બેઠક જીતવી આવી છે. ભાજપનો કાર્યકર હંમેશા લોકોના પ્રશ્નોની સમજીને ઉકલવાની દિશામાં આગળ વધે છે. ભાજપ માટે ઇલેક્શન એક વ્યવસ્થા છે. ભાજપ માટે જ્યારે ભાજપનો કાર્યકર હંમેશા લોકોની સાથે અને તેમના પ્રશ્નોની સાથે જ હોય છે. અમે જંગી બહુમતીથી જીતતા આવીયે છીએ.
જ્યારે પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક પર ચર્ચા કરતાં રાજકીય વિશ્લેષક રાકેશ ગોસાઇએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાની ચાણસ્મા બેઠક વર્ષ 2012ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. જેમાં વર્ષ 2012 અને 2017માં આ બેઠક પર ભાજપ જીતતું આવ્યું છે.
આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. આ બેઠક પર જનસંઘના ઉમેદવારે વિરાજી ઠાકોરે વર્ષ 1975માં પ્રથમવાર જીત મેળવી હતી. આ બેઠક ભાજપનો ગઢ ગણવામાં આવે છે. આ બેઠક પર વર્ષ 1975થી સતત ભાજપની બેઠક રહી છે. તેમજ કોંગ્રેસ આ બેઠક પર એક પણ વાર જીતી નથી. તેથી આ બેઠક કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન છે. પરંતુ આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. તેથી આ પાર્ટી કેટલા મત લઇ જાય છે અને કોનું ગણિત બગાડે છે તે પણ જોવું રહ્યું.