રવિવારે અમદાવાદ (Ahmedabad)ની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલ અમદાવાદના સફાઈ કર્મચારી હર્ષ સોલંકીને પરિવાર સાથે દિલ્હી આવી તેની સાથે ભોજન લેવાનું આમંત્રણ આપ્યુ હતુ. આ સફાઈ કર્મચારી પરિવારને દિલ્હી મોકલવાની વ્યવસ્થા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી હતી. આ સફાઈ કર્મચારી પરિવારને દિલ્હી બોલાવી આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની સાથે ભોજન લીધુ હતુ. પહેલા અમદાવાદના રીક્ષાચાલકને ત્યાં ભોજન અને હવે અમદાવાદના સફાઈ કર્મચારી હર્ષ સોલંકી (Harsh Solanki) ને દિલ્લી બોલાવી તેની સાથે બેસી જમ્યા હતા.
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ચૂંટણીઓ આવતા રાજકીય ભોજનમાં વ્યસ્ત બન્યા છે. મતદારોને આપ તરફ આકર્ષવા તેઓ આમ આદમી સાથે ભોજન કરી રહ્યા છે. ગાંધીનગરના સફાઈકર્મી હર્ષ સોલંકીએ પોતાના પરિવાર સાથે અરવિંદ કેજરીવાલની મહેમાનગતિ માણી હતી. હર્ષ સોલંકી અને તેના પરિવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને ભોજન લીધુ હતુ. આ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા.
કેજરીવાલ સાથેની મુલાકાત દરમિયાન હર્ષ સોલંકી રડી પડ્યા હતા. કેજરીવાલે સોલંકી પરિવારનું સ્વાગત કર્યું હતુ. આ દરમિયાન હર્ષ સોલંકીએ કેજરીવાલને બાબાસાહેબ આંબેડકરની તસવીર ભેટમાં આપી હતી. આ પહેલા હર્ષ સોલંકીએ પરિવાર સાથે દિલ્લીની સ્કૂલની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તમામ લોકોએ મોહલ્લા ક્લિનિકની મુલાકાત લીધી હતી. કેજરીવાલે હર્ષ સોલંકીને કહ્યું હતું કે, હવે ફરીથી જ્યારે હું અમદાવાદ આવીશ ત્યારે તમારા ઘરે જમીશ.