ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે. લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન મથકો પર પહોંચી રહ્યા છે. લોકશાહીના આ પર્વને મનાવવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રથમ તબક્કામાં કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ઉમેદવારોથી લઇને રાજકીય પક્ષના અગ્રણીઓ પણ મત આપવા પહોંચી રહ્યા છે. ત્યારે અમરેલીમાં ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી મત આપવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે હાર્દિક પટેલને લઇને સલાહ આપી હતી.
ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ લોકશાહીના પર્વ પર હાર્દિક પટેલને સલાહ આપી છે. અમરેલીમાં મતદાન સમયે કહ્યું, હાર્દિક ભાજપની વિચારધારાને વળગી રહેશે તો ફાયદો થશે. નહીં તો નુકસાન થશે. ભાજપની વિચારધારા સાથે નહી જોડાય તો સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે છે. ભાજપની વિચારધારા સ્વીકારીને ભાજપે હાર્દિકને સભ્ય બનાવ્યો છે. આંદોલનની નહીં. વધુમાં કહ્યું, ભાજપમાં વાલીયો લૂંટારો આવે તો પણ વાલ્મિકી બની જાય છે. તો ભાજપનું ભવિષ્ય સારું છે. તો હાર્દિકનું ભવિષ્ય તેના વ્યવહાર પર આધાર રાખે છે.
પ્રથમ તબક્કા માટે 25 હજાર 430 મતદાન મથકો છે અને કુલ 34,324 EVM અને 38,749 VVPAT મશીનોમાં મતદાન થઇ રહ્યુ છે. ચૂંટણી પંચની દેખરેખમાં તમામ બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન માટે કુલ 1 લાખ 6 હજાર 963 કર્મીઓ તહેનાત છે. મતદાન બુથ પર વેબ કાસ્ટીંગ માટે વિશેષ સ્ટાફ પણ ખડેપગે છે.
લોકશાહીના ઉત્સવને વધાવવા માટે મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર -કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યાં વહેલી સવારથી જ મતદારોએ લાઇન લગાવી હતી. ઠંડી હોવા છતાં મતદારો સવારે જ મતદાન મથક પર પહોંચી ગયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.