હાંસિયામાં ધકેલાયા બાદ એક પછી એક લેટર બોમ્બ ફોડનારા જવાહર ચાવડા ફરી ચર્ચામાં છે. જો કે આ વખતે જવાહર ચાવડાએ કોઇ નારાજગી વ્યક્ત નથી કરી અને એટલે જ તેની ચર્ચાનું કારણ જુદું છે.
સંજોગો સામાન્ય હોત તો આ દ્રશ્યો પણ સામાન્ય જ હોત. પરંતુ ઘણા લાંબા સમયે આ દ્રશ્યો જોવા મળ્યા અને એટલે જ આ દ્રશ્યોની જેમ જ ચર્ચાના કેન્દ્રમાં પણ એક જ વ્યક્તિ રહ્યા. જે હતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા અને પ્રસંગ હતો જુનાગઢમાં ગાંધી જયંતિ નિમિતે યોજાયેલા કાર્યક્રમનો. જેમાં લાંબા સમય બાદ જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા. આ દરમિયાન જવાહર ચાવડા ભાજપના નેતાઓ સાથે હળવા મૂડમાં જોવા મળ્યા.
જે રીતે જવાહર ચાવડાએ છેલ્લા કેટલાક સમયથી ભાજપ સામે જ તલવાર તાણી છે એ જોતાં આ દ્રશ્યો ઘણા જ સૂચક છે. આ કાર્યક્રમમાં જુનાગઢના સાંસદ, ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જવાહર ચાવડાએ પણ આ બધા જ સાથે હળવાશભર્યા માહોલમાં વાત કરી. જો કે તેમણે મીડિયા સમક્ષ કોઇપણ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કર્યો.
મહત્વનું છે કે જવાહર ચાવડા છેલ્લા ઘણા સમયથી એક પછી એક પત્ર લખી પોતાની નારાજગી ઠાલવી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે જુનાગઢ ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે સત્તાના દુરૂપયોગ અને ભ્રષ્ટાચારનો આરોપ મુકતો પત્ર પીએમ મોદીને લખ્યો હતો. તો એ પહેલા જવાહર ચાવડાએ વધુ ટોલ ટેક્સ મુદ્દે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી. લોકસભા ચૂંટણી વખતે પણ તેઓ પ્રચારથી અળગા રહ્યા હતા. એટલું જ નહીં બાદમાં તેમણે ભાજપનું કમળનું ચિન્હ હટાવી પોતાની ઓળખ મુદ્દે માંડવિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો