રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ બાદ ગુજરાત ભરમાં ફાયર એનોસી અને બીયુ પરમિશનને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી. જે એકમો પાસે ફાયર એનોસી ન હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. છતા પણ અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના જોવા મળે છે. ત્યારે અમદાવાદના શેલા ખાતે આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી.
આગ લાગવાની ઘટનાને શાળાએ વાલીઓ અને ફાયર વિભાગથી છુપાવી હોવાનું સામે આવ્યુ છે. વાલીઓ અને DEOની ટીમ ઘટનાસ્થળ પર પહોંચતા શાળાએ ભૂલ સ્વીકારી હતી. મળતી માહિતી અનુસાર આગની ઘટના બન્યાના એક દિવસ બાદ શાળાએ આગ લાગી હોવાનું સ્વીકાર્યું છે.
ગઈકાલે શાંતિ શાળાએ આગ લાગી જ ના હોવાનું તરકટ રચ્યું હતુ. ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા બાદ આગ લાગવાનું સ્વીકાર્યું છે. એક વિદ્યાર્થીના જાગૃત વાલીએ શાળાના એક શિક્ષક સાથે આ અંગે સવાલ કરતા શિક્ષક કોઈ જવાબ આપવા તૈયાર ન હતા.