દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ, જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ
દ્વારકા જિલ્લાના ખેડૂતો પાણીની અછત, નિષ્ફળ પાક અને ઘાસચારાની તંગીથી પીડાઈ રહ્યા છે. સરકારે જગાડવા તેમણે ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી.
સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછતનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે. જેની સીધી અસર હવે ખેતી અને પશુપાલન પર પડી રહી છે. ત્યારે ધરતીપુત્રો કુદરત સામે લાચાર બન્યા છે. આકાશ તરફ મીટ માંડીને બેસેલા ખેડૂતોને હવે વરસાદ આવવાના કોઈ એંધાણ જણાતા નથી. હાલ ખેતરો પણ પાણી વિના સૂકાઈ રહ્યા છે. પશુઓ માટેનો ઘાસચારો પણ ખૂટી રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્યા છે.
ખેડૂતો દ્વારકાધિશને પણ પ્રાર્થના કરી રહ્યા છે કે સરકારને જગાડે અને તાત્કાલિક દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરે, પાક ધિરાણ માફ કરવામાં આવે અને ચાલુ વર્ષના વીજ બિલ પણ માફ કરવાની માગ જગતનો તાત કરી રહ્યો છે.
કલ્યાણપુરના ધતુરીયા ગામે ખેડૂતો અને પશુપાલકોએ સરકારને જગાડવા અનોખો હવન કર્યો. દ્વારકાધીશને પ્રાર્થના સાથે સરકાર સમક્ષ દુષ્કાળ જાહેર કરવાની ઉગ્ર માંગ ઉઠાવી છે. ખેડૂતોનો દાવો છે કે જિલ્લામાં સિઝનનો માત્ર 6 ટકા વરસાદ પડ્યો છે, એટલે 94 ટકા વરસાદની અછત છે. સમયસર રાહત નહીં મળે તો ખેતી સાથે પશુપાલન પર પણ સંકટના વાદળો છવાશે.
ગત વર્ષે પણ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પાકને ભારે નુક્સાન થયું હતું.. ત્યારે આ વર્ષે તો મેઘરાજા જ રિસાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોનો સીધો સવાલ છે કે શું ખેડૂતો પાસે આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો નહીં બચે ત્યારે સરકાર જાગશે?
હવે ખેડૂતોની એક જ માંગ છે કે વિલંબ કર્યા વગર દુષ્કાળ જાહેર કરવામાં આવે અને પાક ધિરાણ સંપૂર્ણ માફ કરાય. સાથે જ પશુઓ માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરાય… ચાલુ વર્ષના વીજ બીલ માફ કરીને નજીકના અંતરે ઘાસ ડેપો શરૂ કરવા માગ ઉઠી છે.
Input Credit- Jay Goswami- Dwarka
