ધોળકાના ભેટાવાડા ગામે દૂષિત પાણીની સમસ્યાએ માઝા મુકી, 15 વર્ષથી સમસ્યાનો ઉકેલ ન આવતા ગામલોકો આંદોલનના માર્ગે
ધોળકાના ભેટાવાડા ગામે દૂષિત પાણીની સમસ્યાએ માઝા મુકી છે. છેલ્લા 15 વર્ષથી ગામમાં દૂષિત પાણીની સમસ્યા છે પરંતુ તેઓ કોઈ જ ઉકેલ આવી રહ્યો નથી. આથી કંટાળેલા ગામલોકો આંદોલનના માર્ગે ચડ્યા છે
ગુલાબની ખેતી માટે જાણીતા ભેટાવાડા સહિત આસપાસના 5 ગામોમાં 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી ગ્રામજનો ત્રસ્ત છે. ધોળકા પાલિકા અને આસપાસની કેટલીક કંપનીનું દૂષિત પાણી ગામમાંથી પસાર થતા વોકળામાં છોડવામાં આવે છે. જેથી ખેતી લાયક જમીનમાં ભારે નુકસાન થયું છે. દૂષિત પાણીનો કહેર એ હદે છે કે ગામનું ભૂગર્ભ જળ પણ હવે સાફ રહ્યું નથી. ગામલોકોનોરોપ છે કે આ દૂષિત પાણીથી ગામમાં 50થી વધુ લોકો કેન્સરનો શિકાર બન્યા છે. જેમાં 20થી વધુ લોકો મૃત્યુ પણ પામ્યા છે. બાળકો ચામડીના રોગનો વારંવાર ભોગ બની રહ્યા છે.
ગામલોકોએ અનેકવાર કેમિકલ વાળું પાણી પાઇપ દ્વારા તળાવમાં છોડાતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. છેલ્લા 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યાને લઈ સરકારને અનેક રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી સમસ્યા દૂર થઈ નથી. ગામલોકોનો આરોપ છે કે રજૂઆત બાદ થોડો વખત પાણી બંધ કરી ફરી શરૂ કરી દેવામાં આવ છે. ઉલ્લેખનિય છે કે આ દૂષિત પાણી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે પણ તંત્રની ઝાટકણી કાઢી છે. તેમ છતાં સમસ્યાનું કોઈ સમાધાન આવ્યુ નથી.
દૂષિત પાણીની સમસ્યાને લઈ હવે ધોળકા તાલુકાના ભેટાવાડા સહિત ચાર ગામના લોકો આંદોલન પર બેઠા છે. મોટી સંખ્યામાં ગ્રામજનોએ સમસ્યાના કાયમી ઉકેલની માંગ કરી છે.. પાણી-જમીનની વૈજ્ઞાનિક તપાસ કરી… જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ માગ છે. ત્યારે આંદોલનની ગંભીરતા જોતા રવિવારે પ્રાંત અધિકારી અને મામલતદારે લોકોને સમજાવા પ્રયાસ કર્યો. પરંતુ કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે.
એક સમય હતો ગુલાબની ખેતીથી મઘમઘતું આ ગામ હવે પ્રદુષિત પાણીના સંકટ સામે ઝઝુમી રહ્યું છે. ત્યારે ગામ લોકોની વેદનાને સમજી, GPCB અને વહિવટી તંત્ર સત્વરે આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરુરી છે.
તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ અને બર્થ ડેટ કેટલી વાર બદલી શકાય? જાણો નિયમો
