આજે જન્માષ્ટમીના (Janmashtmi 2022) તહેવાર નિમિત્તે દેવભૂમિ દ્વારિકા (Devbhoomi dwarka) ખાતે આવેલા જગત મંદિરમાં ભગવાનના દર્શન કરવા તેમજ શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા માટે લોકો પહોંચી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel )પણ દ્વારકા ખાતે કાળિયા ઠાકરના દર્શનનો લાભ લીધો હતો. દ્વારકા પહોંચ્યા તે અગાઉ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધ્વજારોહણ કરવાનો લાભ લીધો હતો.
દ્વારિકા (Dwarka) નગરીમાં આજે શ્રીકૃષ્ણનો 5249મો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે બે વર્ષ બાદ સમગ્ર દ્વારિકા નગરીમાં અનેરી રોનક જોવા મળી રહી છે. મંદિરને અનેરી રોશનીથી સજાવવામાં આવ્યું છે અને ભક્ત મંડળીઓ સતત કીર્તન ભક્તિ કરીને ભગવાનના જન્મોત્સવને વધાવવા માટે આતુર છે. દ્વારકા અને તેની આસપાસના ગ્રામિણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાંથી પણ દર્શનાર્થીઓ દ્વારકામાં ઉમટી પડ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીને લઈ માત્ર જગતમંદિર જ નહી, પરંતુ આખી દ્વારકા નગરીને શણગારાવામાં આવી છે અને દૂર-દૂરથી કૃષ્ણભક્તો દ્વારકામાં આવી પહોંચ્યા છે,જગત મંદિરમાં દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી છે, જેમાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી તમામ શકયતા છે. જન્માષ્ટમી તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જગત મંદિરને (Jagat Mandir) રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સમગ્ર શહેરમાં પોલીસનો (Police) ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા એસ.પીના સીધા માર્ગદર્શન હેઠળ 6 ડીવાયએસપી, 80 પીઆઈ તથા પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ તથા હોમગાર્ડઝના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સુરક્ષા (Security) માટે વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાઓ સહિત લાઈટિંગ અને બેરીકેટીંગ સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.