Cyclone Biporjoy: બનાસકાંઠામાં બે દિવસ વાવાઝોડાની અસર રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. જિલ્લામાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે લોકોને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. રાજસ્થાનની સાથે સરહદી જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ અત્યાર સુધી વાવ, સૂઈગામ, ડીસા, થરાદમાં 4 ઈંચ સુધી વરસાદ પડી ચૂક્યો છે. જો કે, હજી બે દિવસ વધુ ભારે છે.
વાવાઝોડાની અસરને લઈને 231 શેડ ઉડી ગયા છે, તો વૃક્ષ પડતાં એક પશુનું મોત થયું છે. આ ઉપરાંત ભારે વરસાદને કારણે 190 વીજપોલ ધરાશાયી થયા છે. 18 ગામડાંઓમાં વીજ પુરવઠો ખોરવાયો. બનાસકાંઠામાં અત્યાર સુધી 2500 લોકોને સ્થળાંતર કરાયા છે. જોકે સાવચેતી રાખવા નાગરિકોને કલેક્ટરે અપીલ પણ કરી છે.
આ પણ વાંચો : Cyclone Biporjoy : વડોદરામાં ચિખોદરા ધનિયાવીમાં તોફાની પવનને કારણે દીવાલ પડતા એક મહિલાનું મોત
હજી પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર આગામી સમયમાં પણ રહેશે. ખાસ કરીને કચ્છ, મોરબી, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. રાજસ્થાનના દક્ષિણ ભાગમાં પણ અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે.