જામનગરમાં કોલેરાનો પ્રકોપ વધ્યો, વધુ 5 કેસ નોંધાતા એક્ટિવ દર્દીઓ આંકડો 20 પહોંચ્યો
જામનગરમાં કોલેરાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. વધુ 5 પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. મહત્વનું છે કે વધતાં કેસોને લઈ સ્થાનિકો પણ ચિંતામાં મુકાયા છે.
જામનગર શહેરમાં કોલેરાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ધરાનગર વિસ્તારમાં ગઈકાલ સુધી 15 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા, જેમાં આજે વધુ 5 કેસ નોંધાતા શહેરમાં કુલ 20 એક્ટિવ કેસ થયા છે. વોર્ડ નં-1માં પાણીજન્ય રોગચાળો વકરતા આ વિસ્તારને તંત્ર દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. હાલ 15 દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સ્થાનિકો પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ પાણી ભળ્યું હોવાના આક્ષેપો કરી રહ્યા છે. બેડેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં ઝાડા-ઉલટીના 48 કેસ નોંધાયા છે. વધતા કેસોને ધ્યાનમાં રાખીને જામનગર મનપા દોડતી થઈ છે.
મહત્વનું છે કે આ સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખીને મનપાની 27થી વધુ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાયો છે અને 2700થી વધુ ઘરોમાં ચેકિંગ સાથે ક્લોરીનેશન ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
સાથે જ સોલિડ વેસ્ટ અને ભૂગર્ભ ગટર શાખાએ ખાસ સફાઈ અભિયાન શરૂ કર્યું છે, જ્યારે વોટરવર્કસ વિભાગ દ્વારા પાણીની પાઈપલાઈન ચેકિંગ અને લીકેજ સમારકામની કામગીરી હાથ ધરાઈ છે. તંત્રએ લોકોને ઉકાળેલું અને ક્લોરીનયુક્ત પાણી પીવાની અપીલ કરી છે.